ગુજરાત
News of Monday, 1st March 2021

ગોમતીપુરમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં બે આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

કોર્ટે આરોપી એઝાઝ અન્સારી અને અઝરૂદીન અન્સારીના આગોતરા જામીન મંજુર કર્યા : બંનેના નામ પોલીસ ફરિયાદમાં સામેલ નથી.

અમદાવાદ : કોરોના લૉકડાઉન દરમિયાન ગોમતીપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારાની ઘટનામાં ધરપકડ ટાળવા બે આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી અમદાવાદની કોર્ટ દ્વારા મંજુર કરાઈ છે

કોર્ટે આરોપી એઝાઝ અન્સારી અને અઝરૂદીન અન્સારીના આગોતરા જામીન મંજુર કરતા નોંધ્યું હતું કે બંનેના નામ પોલીસ ફરિયાદમાં સામેલ નથી. આ કેસમાં સંડોવાયેલા અન્ય સહ-આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં બંને અરજદારોની કસ્ટડીયલ તપાસની જરૂર ન હોવાથી તેમને શરતી આગોતરા જામીન આપી શકાય છે. 

અરજદારના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે બંને આરોપીઓની ગુનામાં સીધી કે આડકતરી સંડોવણી નથી. બંને અરજદારોને પેરિટીનો લાભ આપીને આગોતરા જામીન આપવામાં આવે. બંને સામે પ્રાથમિક દ્રષ્ટિએ પણ ગુનો સાબિત થતો નથી તેવી દલીલ કરી હતી. આરોપીઓ અમદાવાદના રહેવાસી છે અને જો જરૂર પડે તો તપાસમાં હાજર થશે તેવી શરતો સાથે આગોતરા જામીન મંજુર કરવામાં આવે

 

આ મુદ્દે સરકારી વકીલ તરફે દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓને જો આગોતરા જામીન આપવામાં આવશે તો તેઓ ફરીવાર આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાઈ શકે તેવી શકયતા છે. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને આરોપીઓ કોરોના લૉકડાઉનના નિયમોનું ભંગ કરી પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં સામેલ હોવાના આક્ષેપ છે. જેથી તેમની આગોતરા જામીન ફગાવવામાં આવે.

સમગ્ર કેસની વિગત એવી છે કે 1લી એપ્રિલ 2020ના રોજ કોવિડ લૉકડાઉન દરમિયાન પોલીસ ગોમતીપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે કસાઈની ચાલી અને પૂજારીની ચાલી પાસે સંખ્યાબંધ આરોપીઓને પોલીસે ઘરે જવા કહ્યું હતું, ત્યારબાદ આરોપીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ ઘવાયા હતા. પોલીસે સમગ્ર ઘટના બાદ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી

(7:13 pm IST)