હાઈકોર્ટે અમદાવાદ મહાનગર પાલીકાને ઉધળી લિધી ! : આદેશોનુ પાલન ન થતા તેમજ દુર્ઘટનાઓમાં જવાબદારો વિરૂધ્ધ શુ પગલા ભર્યા તે અંગે જાણાવવા હાઈકોર્ટે આદેશ કર્યો
દેવ કોમ્પ્લેક્સની દુર્ઘટનામાં જવાબદારો સામે શુ પગલા ભર્યા તેમજ હોસ્પિટલો અંગે કરેલ આદેશનાં હજૂ પાલન કેમ નથી થયા તે અંગે ખુલાસા કરવા હાઈકોર્ટે મનાપાને જણાવ્યુ
ગાંધીનગર તા.૦૧ : હાઈકોર્ટે રાજ્ય સરકાર તેમજ અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ બાબતોને લઈ ટકોર કરી છે. અને ગુરૂવારે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, જે બહુમાળી ઇમારતો પાસે એન.ઓ.સી., બીયુ મંજૂરી અને પ્લાનની મંજૂરી ન હોય તેવી ઇમારતોને સિલ કરો. દેવ કોમ્પ્લેક્સની ઘટનામાં જવાબાર કોણ છે તે અંગે અમદાવાદ મનપા રિપોર્ટ આપે અને તેની સામે શુ પગલા લીધા તે જણાવે, ભૂતકાળમાં હાઈકોર્ટે હોસ્પિટલમાં કાચની દિવાલને હટાવવાં આદેશ કરેલ તે અંગે કોઈ પગલા કેમ ન લેવાયા તે અંગે ખુલાસો કરવા જણાવાયુ.
હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે કે, તેમના સત્તાક્ષેત્રમાં આવતા વિસ્તારના ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફ્ટિની સ્થિતિ શું છે ? આઈસીયુમાં આગ લાગે નહીં તે માટે સાવચેતીના પગલા શું લેવા જોઈએ ? તે અંગે રિપોર્ટ આપો. હાઈકોર્ટે એ પણ આદેશ કર્યો છે કે, 15 ડિસેમ્બર-2020ના રોજ હાઈકોર્ટે હોસ્પિટલમાં આગની ઘટનાને નિવારવા માટે જે નિર્દેશ આપેલા તેનો અમલ કેટલો કર્યો છે ? શું પગલા લીધા છે ? આ આદેશનો અમલ ત્વરિતપણે કરો. આ અંગે જવાબ આપો. હાઈકોર્ટે અરજદારને પણ નિર્દેશ આપ્યો છે કે, તે દેવકોમ્પ્લેક્સને પણ આ અરજીમાં પક્ષકાર બનાવે. આ કેસની વધુ સુનાવણી 22 જુલાઈએ હાથ ધરાશે. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, આગની ઘટના બાદ પગલા લેવાય છે. જો કે આવી ઘટના બને નહીં તે માટે અગાઉથી જ સાવચેતીના પગલા લેવામાં આવે. આવી દુર્ઘટના બને છે, ત્યારે જણાય છે કે, ફાયર સેફ્ટિના કાયદાનુ પાલન યોગ્ય રીતે કરાતુ નથી.
રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે તેમણે ફેબ્રુઆરી-2021માં સરકારી હોસ્પિટલમાં સલામતીના હેતુથી જરુરી તમામ ફૂલપ્રુફ નિર્દેશ આપેલા છે. આ સમયે, હાઈકોર્ટે સરકારને સવાલ કરેલો કે સરકારી હોસ્પિટલમાં તો કાચની દિવાલો નથી ને ? આ સમયે, એડ્વોકેટ જનરલે કહેલુ કે ના એવુ નથી. હાઈકોર્ટે ટકોર કરેલી કે બહુમાળી ઈમારતમાં હોસ્પિટલ સાત કે આઠમા માળે હોય અને તેની દિવાલો કાચની હોય અને જો આગ લાગે તો લોકોને કેવી રીતે બચાવશો ? હેલિકોપ્ટર લાવશો તો પણ બચાવ કાર્ય કેવી રીતે શક્ય બનશે ? ધુમાડો બહાર નહીં નીકળે તો અંદર લોકોને ગુંગળામણ થવાની. જો કે, હાઈકોર્ટે એ સ્પષ્ટ કરેલુ કે, આખુ બિલ્ડીંગ હોસ્પિટલ હોય તો તેની વાત અલગ છે, કારણ કે ત્યાં દરેક સુવિધા હશે.
હાઈકોર્ટે એએમસીને ટકોર કરેલી કે, હાઈકોર્ટનો પ્રાથમિક મત એવો છે કે, આ સમગ્ર બાબતને જોતા લાગી રહ્યું છે કે, એએમસીના સ્થાનિક ઈજનરે આ પ્રકારની કાચની દિવાલ વાળી બિલ્ડીંગ બનાવવા માટે મંજૂરી આપેલી છે. સલામતી સંદર્ભે એએમસીના અધિકારીઓએ કોઈ પગલા લીધા નથી
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે એેએમસી અને સરકારને સવાલ કરેલો કે આઈસીયુ બીજા કે ત્રીજા માળે કેવી રીતે રાખી શકાય ? શું કોમર્શિયલ બિલ્ડીંગમાં હોસ્પિટલને મંજૂરી મળે ખરી ? કોમર્શિયલ બિલ્ડીંગમાં નીચેના માળ પર ફેમિલી રેસ્ટોરન્ટ હોય અને ઉપર હોસ્પિટલ હોય તો તે શું ચિંતાજનક નથી ?