રાજ્ય સરકારે સયાજી હોસ્પિટલમાં નવા માતૃ અને બાળ આરોગ્ય વિભાગ માટે પ્રથમ તબક્કામાં રૂ.૫૦ કરોડ મંજૂર કર્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ તેના નિર્માણ માટેની સૂચિત ત્રણ જગ્યાઓ નું કર્યું નિરીક્ષણ.
વડોદરા : આરોગ્ય વિભાગનું કુશળ નેતૃત્વ કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જ્ઞાનશક્તિ કાર્યક્રમ પૂરો થયા પછી સયાજી હોસ્પિટલના માતૃ અને બાળ આરોગ્ય વિભાગના નવીનીકરણના સૂચિત આયોજન અન્વયે,તેના નિર્માણ માટે સૂચિત ત્રણ જગ્યાઓ ની નિરીક્ષણ મુલાકાત કરીને જિલ્લા કલેકટર આર.બી.બારડ,સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજનકૃષ્ણ ઐયર,શહેર પક્ષ અધ્યક્ષ ડો.વિજય શાહ,બાળ રોગ વિભાગના વડા ડો.શીલા ઐયર અને સંબંધિતો સાથે સૂચિત જગ્યાઓની માલિકી અને ઝડપથી કબ્જો મેળવવા સહિતની જરૂરી બાબતો નો પરામર્શ કર્યો હતો.
આ અંગે જાણકારી આપતાં તબીબી અધિક્ષકએ જણાવ્યું કે,નવા અને સુવિધાજનક માતૃ અને બાળ આરોગ્ય વિભાગના નિર્માણ માટે રાજ્ય સરકારે અંદાજપત્રમાં પ્રથમ તબક્કા માટે રૂ.૫૦ કરોડની ઉદાર જોગવાઈ કરી છે.હાલમાં ૬૦૦ પથારીની સુવિધા સાથે આ વિભાગ બાંધવાનુ આયોજન છે અને હાલમાં તેના માટે અનુકૂળ જગ્યા પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
તેના હેઠળ આજે નાયબ મુખ્યમંત્રીને યવતેશ્વર કમ્પાઉન્ડ પાસેનો ખાલી પ્લોટ,સયાજી હોસ્પિટલ ના કીર્તિ મંદિર સ્ટાફ કવાર્ટર પરિસરમાં આવેલી અને હાલમાં ફાજલ થયેલી જગ્યા અને કારેલીબાગમાં ચેપી રોગ હોસ્પિટલ પાસેની જગ્યાઓ બતાવવામાં આવી હતી. તેમણે જિલ્લા કલેકટર સાથે આ જગ્યાઓની માલિકી અને કબ્જો મેળવવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરીને આ કામ ઝડપથી પૂરું થાય તે માટે સૂચન કર્યું હતું.