ગાંધીનગર નજીક અમીયાપુરના જૈન દેરાસરમાં તસ્કરોનો તરખાટ:2.40 લાખની મતાની ઉઠાંતરી કરી રફુચક્કર
ગાંધીનગર: શહેર નજીક આવેલા અમિયાપુરના પ્રસિધ્ધ તપોવન સંસ્કારપીઠમાં આવેલા જૈન દેરાસરમાં તસ્કર ટોળી ત્રાટકી હતી અને ગર્ભગૃહમાં સળીયા તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ ભગવાનની મૂર્તિ ઉપરથી ત્રણ નંગ છત્ર અને ચાંદીના બાજુબંધ મળી કુલ ર.૪૦ લાખની મત્તાની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે દેરાસરના સંચાલકોને સવારના સમયે જાણ થતાં અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે તસ્કરોએ આ વખતે ગાંધીનગર નજીક આવેલા અમિયાપુરના જગપ્રસિધ્ધ તપોવન સંસ્કારપીઠના જૈન દેરાસરને નિશાન બનાવ્યું છે. આ ઘટના અંગે સંસ્કારપીઠના જનરલ મેનેજર જયેશભાઈ મનસુખલાલ મહેતાએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે ગત શનિવારની રાત્રે તેઓ ઘરે સુઈ રહયા હતા ત્યારબાદ સવારે છ વાગ્યાના સુમારે મેનેજર પ્રકાશભાઈનો ફોન આવ્યો હતો અને કહયું હતું કે દેરાસરના તાળાં તુટયા છે જેથી તેઓ દેરાસર ગયા હતા અને જોયું તો અંદરની દાનપેટી તુટેલી હતી. તેમજ ગર્ભગૃહના દરવાજા જે બંધ હતા તેમાં સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના ગર્ભગૃહના ત્રણ સળીયા તુટેલા હતા. જે દાનપેટીની પાછળ પડયા હતા.