નર્મદાની સપાટી ૩૫ ફૂટ થવાથી અંકલેશ્વર શહેરમાં પાણી ઘૂસ્યા
જૂના દિવા ગામેથી ૫૦૦નું સ્થળાંતર : અંકલેશ્વરની જલારામનગર, નીલમાઘવ, રાજેશનગર, શ્રીદર્શન સહિત ૭ થી ૮ સોસાયટીઓમાં નર્મદા નદીના પાણી
અંકલેશ્વર,તા.૦૧ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૧ લાખ ક્યૂસેક પાણી છોડવાને પગલે ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામો અને શહેરો પ્રભાવિત થયા છે. નર્મદા નદીએ ૧૩૩ ફૂટની સપાટી વટાવી દીધી છે અને ભરૂચ સ્થિત ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી ૩૫ ફૂટે પહોંચી છે. ભરૂચ બાદ હવે અંકલેશ્વર શહેરમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. અંકલેશ્વરની જલારામનગર, શ્રીદર્શન, નીલમાઘવ, રાજેશનગર સહિત ૭થી ૮ સોસાયટીઓમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. સોસાયટીઓના રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ફળી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જૂના દિવા ગામના ચાણવાળા ફળીયામાં પાણી ઘૂસી જતા ૫૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ચારે બાજુ પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે.
ગામના સરપચ, તલાટી સહિત તંત્ર ખડેપગે છે અને આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી છે.ભરૂચના ફૂરજા વિસ્તારમાં પૂરના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું છે. સ્થાનિક કોર્પોરેટર યુસુફભાઇ મલિક સહિતના લોકોએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ભરૂચ કલેક્ટરે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'આજરોજ બપોરના ૧૨ કલાકે ગોલ્ડનબ્રીજ ખાતે નર્મદા નદીનું જળસ્તર ૩૪.૭૬ ફૂટ નોંધાયુ છે. ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ છે. સીડહબલ્યુસીના ફોરકાસ્ટ અનુસાર બપોરે ૪ કલાકે જળસ્તર ૩૫ ફૂટની સપાટી વટાવી ૩૫.૨૪ ફૂટ થવાની સંભાવના છે. લોકોને સાવચેત રહેવા અનુરોધ છેલ્લનર્મદા ડેમની સપાટી વધારવા સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી એટલેકે ૧૩૮.૬૮ સુધી ભરી શકશે. નર્મદા ડેમના દરવાજા બંધ કરી નર્મદા નદીમાં ઓછુ પાણી છોડવામાં આવશે. જેના કારણે પૂરના પાણી ઉતરવાની શક્યતા છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૩.૦૪ મીટર ઉપર પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી ૧૧ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે નર્મદા નદીમાં ૧૦ લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાઇ રહ્યું છે.