સુરતના લીંબાયત વિસ્તારમાં પત્ની સાથે આડા સંબંધ ધરાવતા હોવાનો વ્હેમ રાખી પુત્રના શિક્ષકની હત્યા કરાવનાર પતિને અદાલતે આજીવન કેદની સુનવણી કરી
સુરત: શહેરનાલિંબાયત વિસ્તારમાં રહેતા ફરિયાદી જીતેન્દ્ર જશવંત પાટીલના મામા સસરા તથા શિક્ષક રવિન્દ્ર પંડિત પાટીલ તા.11-6-15ના રોજ પોતાના મિત્રને ત્યાં જવાનું કહીને મોડી રાત સુધી પરત ફર્યા નહોતા.તદુપરાંત મોબાઈલ પણ બંધ આવતા ફરિયાદી તથા તેમના સંબંધી શોધખોળ માટે નીકળતાં જાણવા મળ્યું હતું કે ગોડાદરા રેલ્વે ફાટકથી માનસરોવર જતાં રોડ પર એક અજાણ્યા ઈશમની તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલી લાશ મળી છે.જેની ઓળખ ફરિયાદીએ પોતાના મામા સસરા રવિન્દ્ર પાટીલની હોઈ અજાણ્યા ઈસમો વિરુધ્ધ લિંબાયત પોલીસમાં હત્યા તથા ગુનાના પુરાવાનો નાશ કરવાના કાવતરા બદલ ફરિયાદ નોંધાવી હતી.
જેની તપાસ દરમિયાન લિંબાયત પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી ભાઉસાહેબ સખારામ પાટીલના પુત્રના વર્ગશિક્ષક એવા મરનાર રવિન્દ્ર પાટીલને તેમની પત્ની સાથે આડાસંબંધ ધરાવતા હોવાનો વહેમ હતો.જેથી મુખ્ય આરોપી ભાઉસાહેબ પાટીલે સહ આરોપી અધિકાર હીલાલ પાટીલ,હરીન્દર માર્કેન્ડ રાજભરને બોલાવી આરોપી રામચંદ્ર ઉર્ફે ગાવઠી હિમંત પાટીલને ત્રીસ હજારમાં મરનાર રવિન્દ્ર પાટીલની હત્યા કરવાનું નક્કી કરી કાવતરું રચ્યું હતુ.આરોપીઓએ મરનારને તા.11-6-15ના રોજ ગેસ ગોડાઉનમાં બોલાવી નાયલોનની દોરી વડે ગળે ફાંસો આપી સોનાની વસ્તુ પર્સ સગેવગે કરીને લાશને રેલ્વે ટ્રેક પર નાખી દીધી હતી.જેથી આ કેસમાં લિંબાયત પોલીસે જેલભેગા કરેલા ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુધ્ધ સાંયોગિક પુરાવા આધારિત કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી સરકારપક્ષે એપીપી રાજેશ ડોબરીયા તથા મૂળ ફરિયાદી તરફે ધર્મિષ્ઠા જી.પટેલ અને સિધ્ધાર્થ કટયારે નજરે જોનાર સાક્ષીને અભાવે સંપુર્ણપણે સાંયોગિક પુરાવા આધારિત કેસની ક્રમબધ્ધ કડીઓને જોડી બતાવી હતી.જેથી કોર્ટે હત્યાના ગુનામાં ચારેય આરોપીઓને આજીવન કેદ તથા રૃ.50 હજાર દંડની સજા ફટકારી છે.