ગુજરાત
News of Friday, 2nd April 2021

ગાંધીનગરના અડાલજ નજીક તળાવ પાસે યુવાને સગીર પ્રેમિકાને બોલાવી શંકા કરી મોતનેઘાટ ઉતારી તળાવમાં ફેંકી દેતા અરેરાટી

ગાંધીનગર: શહેર નજીક આવેલા અડાલજના તળાવ પાસે ગઈકાલે અમદાવાદ ચાંદલોડીયાના યુવાને તેની સગીર પ્રેમીકાને બોલાવી તેનું અન્ય સાથે અફેર હોવાની શંકા રાખીને ગળું દબાવી હત્યા કરી મૃતદેહ તળાવમાં ફેંકી દીધો હતો. સગીરાના પરિવારજનો તેણીને શોધી રહયા હતા ત્યારે રાત્રે પ્રેમી અડાલજ પોલીસ સમક્ષ હાજર થઈને સંપૂર્ણ હકીકત જણાવતા આજે સવારે ફાયર બ્રિગેડની મદદથી સગીરાનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢયો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં ચાંદલોડીયામાં રહેતી સગીરાને તેની પાડોશમાં જ રહેતા અને મુળ રાજસ્થાનના યુવાન પ્રવિણ મગનભાઈ મારવાડી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. બે મહિના અગાઉ તેમના વચ્ચે અબોલા શરૃ થયા હતા અને ગઈકાલે પ્રવિણે આ સગીરાને ફોન કરીને મળવા માટે બોલાવી હતી. જયાં સગીરા આવતાં પ્રવિણે તેણીને અન્ય સાથે સંબંધ હોવાનો વહેમ રાખી બોલાચાલી કરી હતી ત્યારબાદ આ સગીરાનું ગળું દબાવીને હત્યા કરી તેના મૃતદેહને અડાલજ નર્મદા કેનાલ પાસે આવેલા ડાહોર તળાવમાં ફેંકી દીધી હતી. બીજી બાજુ સગીરા બપોરથી ઘરેથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી પરત નહીં ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તેનો કયાંય પતો ના લાગતાં પોલીસને જાણ પણ કરી હતી. બીજી બાજુ સગીરાની હત્યા કરીને તેના પ્રેમી પ્રવિણને પકડાઈ જવાનો ડર સતાવી રહયો હતો અને તે સામેથી અડાલજ પોલીસ મથક પહોંચ્યો હતો અને પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે તેણે તેની પ્રેમિકાની હત્યા કરી મૃતદેહ અડાલજના તળાવમાં ફેંકી દીધો છે. જેના પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આરોપીને લઈ તળાવ ઉપર પહોંચી હતી જયાં ફાયર બ્રિગેડને બોલાવી સગીરાનો મૃતદેહ રાત્રે શોધ્યો હતો પરંતુ મળી આવ્યો નહોતો. દરમ્યાન આજે સવારના સમયે ફાયર બ્રિગેડને મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.સિંઘવે જણાવ્યું હતું કે સગીરાના પિતાની ફરીયાદના આધારે આરોપી પ્રવિણ મારવાડીની ધરપકડ કરી લેવામાં આવી છે અને સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ મોકલી આપવામાં આવ્યો હતો. આરોપીના રીમાન્ડ લેવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે.

(5:38 pm IST)