ગુજરાત
News of Tuesday, 2nd August 2022

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મધરાતે બે શખ્સોએ બાઈક પર બેસાડી યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: શાહીબાગમાં ગિરધનગર બ્રિજ પાસે રહેતા યુવકને મધરાતે બે શખ્સો બાઇક ઉપર બેસાડીને લઇ ગયા હતા અને ઘરમાં પૂરી બે કલાક સુધી આડેધડ દંડા તથા પટ્ટાથી માર માર્યો હતો અને હવે પછી અમારુ નામ લઇશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી, ગંભીર રીતે ઘાયલ યુવક હાલ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વિગત એવી છે કે   શાહીબાગ ગિરધરનગર બ્રિજ પાસે માકુભાઇની ચાલીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા કિરણભાઇ ઉમેદભાઇ સોલંકી(ઉ.વ.૧૯)એ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અસારવા બળીયા લીમડી પાસે શાંતીપુરા મનુંભાઇની ચાલીમાં રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફે ગોટાબાપુ તથા જયંત  ઉર્ફે ગેંડો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવક તા.૩૦ ના રોજ રાતે ૩ વાગે ઘરેથી ઉઠીને ચાલીના નાકે શૌચાલયમાં આવ્યો  હતો.  આ સમયે આરોપીઓએ તેને બાઇક પર બેસી જવાનું કહીને ઉપાડીને લઇ ગયા હતા. જયંતના ઘરે લઇને ગયા બાદ ઘરમાં પુરીને અગાઉના ઝઘડામાં અમારી વચ્ચે છોડાવવા કેમ  પડયો હતો તેમ કહીને અદાવત રાખીને ગાળો બોલીને ઉશ્કેરાઇને આડેધડ દંડાથી તથા પટ્ટાથી જેમ ફાવે તેમ મારવા લાગ્યા હતા સવારે પાંચ  વાગ્યા સુધી ઢોર  માર માર્યો હતો અને આજ પછી અમારુ નામ લઇશ તો જાનથી મારી  નાંખીશુ તેવી ધમકી આપી હતી. જો કે યુવક પેશાબ જવાનું બહાનું કાઢીને ઘરે જતો રહ્યો હતો, ગંભીર રીતે ઘાયલ યુવક હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

(5:56 pm IST)