નડિયાદ શહેરના મફતલાલ મિલ વિસ્તારમાં કપિરાજનો આતંક:એક શખ્સ પર હિંસક હુમલો કરી પગ પર બચકું ભરતા અન્ય લોકોમાં ભયનો માહોલ
નડિયાદ:શહેરના મફતલાલ મીલ વિસ્તારમાં આતંકી વાનરોનો ત્રાસ યથાવત રહ્યો છે. અગાઉ પણ મિલ રોડ વિસ્તારમાં વાનરે નાગરિકોને રંજાડયા હોવાની ઘટનાઓ ઘટી હતી. ફરીથી આ ઘટનાનું પુનરાવર્તન આજે જોવા મળ્યું હતું.
નડિયાદ મફતલાલ નવી મીલ પાસે આવેલા ભયલાલભાઈની ચાલીમાં રહેતા દિનેશભાઈ દેવશીભાઈ પટેલ (ઉં.વ. ૫૧) ચાલીમાંથી બહાર નીકળી રહ્યા હતા. આ જ સમયે ત્યાં ત્રણ વાનર પસાર થઈ રહ્યા હતા. તેમાંના એક વાનરે દિનેશભાઈ ઉપર હિંસક હુમલો કરી પગના ભાગે બચકુ ભરી લીધું હતું. વાનરે ઘાયલ કરતા દિનેશભાઈને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પગમાં સાત ટાંકા લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ નડિયાદ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે પાંજરૂ મુકી વાનરને પકડવાની કામગીરી હાથ ધરી છે.