ગુજરાત
News of Friday, 2nd October 2020

અમદાવાદના સેન્ટ્રલ જેલનાં કેદીઓ બનશે રેડિયો જોકી: ’રેડિયો પ્રિઝનર સ્ટેશન શરૂ:બંદિવાનો જ કરશે સંચાલન

રેડિયો માત્ર જેલના પુરતુ જ હશે. હાલ પુરતું આરજે પાસે કેદીઓને ટ્રેનિંગ અપાશે

અમદાવાદ :  રાજયમાં પ્રથમ વખત એક નવતર પ્રયોગના ભાગરુપે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે  બંદીવાન ભાઇઓને જેલમાં મનોરંજન મળી રહે તેમજ જેલનાં બંધ વાતાવરણમાં માનસિક તણાવથી દૂર રહી શકે તે માટે જેલ વિભાગ દ્વારા બંદીવાનો માટે અને તેમના દ્વારા જ સંચાલિત ‘’રેડિયો પ્રિઝનર સ્ટેશનની શરૂઆત કરાઈ છે,જેનો હેતુ છે કે બંદીવાનોને તેના દ્વારા ઉપયોગી શૈક્ષણિક, કાયદાકીય અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી જેલમાંથી જ મળી શકે અને બંદીવાન ભાઇઓ તેનો મહત્તમ લાભ લઇ શકે.

આ ઉપરાંત જેલના સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને પ્રાથમિક સારવાર ત્વરિત મળી રહે તે માટે જેલ સ્ટાફ લાઈન ખાતે નવનિર્માણ સ્ટાફ ડિસ્પેન્સરીનું ઉદઘાટન ગાંધીજયંતી નિમિત્તે અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલ અને સુધારાત્મક  વહીવટ દ્વારા થશે. મહત્વનું છે કે ધોરણે સૌપ્રથમ વખત અમદાવાદ સેન્ટ્રલ જેલ દ્વારા રેડિયો ની શરૂઆત કરવામાં આવી રહી છે. જેલ તંત્ર દ્વારા જેલના કેદીઓ દ્વારા બનાવામાં આવતા ભજીયાને પણ અદ્ભુત સફળતા મળી હતી.

જો કે આ રેડિયો માત્ર જેલના પુરતુ જ હશે. હાલ પુરતું આરજે પાસે કેદીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યાર બાદ કેદીઓ દ્વારા જ સમગ્ર રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. સવારે 8થી 12 અને સાંજે 3થી 6 વાગ્યા સુધી આ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવશે. આ સ્ટેશનમાં રેડિયો માટે જરૂરી તમામ અત્યાધુનિક સાધનો મંગાવાયા છે. પ્રાયોગિક ધોરણે અહીં આ પ્રોજેક્ટ મુકાયો છે. જો તે સફળ રહેશે તો બાદમાં તેને અન્ય જેલોમાં પણ લાગુ કરવામાં આવશે.

 

(8:32 am IST)