રાજ્યની સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં તબીબોની સંખ્યા ખાલી
બોન્ડની રકમ જતી કરીને પણ તબીબો સરકારી સેવા બજાવવા તૈયાર નહીં : બાળરોગ નિષ્ણાંતોથી લઇને અનેક તજજ્ઞો ન હોવાથી લોકોને ખાનગી હોસ્પિટલનું વધતુ આર્થિક ભારણ
અમદાવાદ,તા. ૨: રાજયમાં હાલ કોરોના ઉપરાંત ડેન્ગ્યૂ,ચિકનગુનિયાનો રોગચાળો ચાલી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલો, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સિવિલ સર્જનથી લઈને સંખ્યાબંધ તબીબોની જગ્યા ખાલી હોવાનું બહાર આવ્યું છે. જેમાં તજજ્ઞ તબીબોની સંખ્યા પણ મોટાભાગના સેન્ટરોમાં અપૂરતી છે. જેના કારણે દર્દીઓને નાછૂટકે સરકારી હોસ્પિટલોના બદલે ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડેછે. જેથી તેમની ઉપર આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.
રાજયમાં સરકારી હોસ્પિટલોમાં તબીબો સહિત અન્ય સ્ટાફની મોટીસંખ્યામાં ઘટ છે. ફેબ્રુઆરી-૨૦૨૦ની સ્થિતિએ રજયમાં તબીબી અધિકારીમાં ગણાતી કુલ ૪૬૨૩ જેટલી મંજૂર જગ્યામાંથી ૬૯૮ જગ્યા ખાલી હતી. માર્ચના અંતથી કોરોના મહામારી-લોકડાઉન શરૂ થઇ જતા નવી ભરતીની કામગીરી લગભગ ઠપ્પ થઇ જવા પામી છે. તેના કારણે હાલ પણ આ સ્થિતિમાં બહુ મોટો ફરક હોવાની શકયતા ઓછી છે. દર્દીઓ માટે સૌથી વધુ મુશ્કેલીજનક બાબત એ છે કે ડિસ્ટ્રીકટ અને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના નિષ્ણાત તબીબોની જગ્યા ખાલીછે.જેના કારણે દર્દીઓ હોસ્પિટલમાં ચેકઅપ માટે જાય તો નિરાશ થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. જે તજજ્ઞ તબીબોની જગ્યાઓ ખાલી છે તેમાં તબીબી અધિક્ષક, પૂર્ણકાલીન સર્જન, ઓર્થોપેડિક સર્જન, ફિઝિશયન, આઇ સર્જન વગેરેનો સમાવેશ થાય છે. તે સાથે રેડિયોલોજીરટ, પેથોલોજીસ્ટ, માઇક્રોબાયોલોજીરટ વગેરેની જગ્યાઓ પણ પૂરી સંખ્યામાં ભરાયેલી નથી.
ગ્રામ્યથી લઇને જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલોમાં બાળકોને કોઇ ગંભીર મુશ્કેલીમાં લઇ જવાય ત્યારેબાળ રોગ નિષ્ણાતની સંખ્યા અડધા ઉપરાંત ખાલી હોવાથી માતા-પિતાને અનિચ્છાએ ખાનગી હોસ્પિટલમાં બાળકને લઇ જવાની ફરજ પડે છે. તેવીજ રીતે સ્ત્રીરોગ નિષ્ણાત, એનેસ્પેટીસ્ટ, ઇએનટી સર્જન વગેરેનીજગ્યાઓ પણ પૂરી ભરાયેલી હોતી નથી.
સામૂહિક આરેગ્ય કેન્દ્રો ખાતે પણ ઓછો રટાફ હોવા છતા મોટાભાગની જગ્યાઓ વર્ષભર ખાલી હોય છે. જેમાં તજજ્ઞ વર્ગ-૧માં આવતા અધિક્ષક, ફૂલ ટાઇમ સર્જન અને ફિંઝીશયન, ઓર્થોપેડિક સર્જન, પીડિયાટ્રિશયન, ગાયનેકોલોજીસ્ટ, એનેસ્થેટીસ્ટ વગેરેની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે.
આરોગ્ય વિભાગના કહેવા મુજબ તબીબો ગ્રામ્ય વિસ્તાર કે જિલ્લા હોસ્પિટલોમાં સેવા આપવા તૈયાર હોતા નથી, સરકારી હોસ્પિટલોમાં સ્ક્રીમ ફીમાં ભણે તેમ છતાં તેઓ ખાનગી પ્રેકટિસ માટે તેમની બોન્ડની રકમ જતી કરીને પણ તે વિસ્તારમાં સેવા આપવા તેયાર નથી.