ગુજરાત
News of Friday, 2nd October 2020

અંબાજી દર્શન કરવા પહોંચે તે પહેલાં ૩ લોકો જીવતા ભુંજાયા

પટેલ પરિવારને અકસ્માત નડ્યો : ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતાં ત્રણ જણા કારમાં ભૂંજાયા, ચાલક સહિત ૧ મહિલાને બચાવી લેવાઈ

અમદાવાદ,તા.૨ : અમદાવાદનો એક પરિવાર અંબાજી દર્શન કરવા માટે કારમાં સવાર થઈને નીકળ્યા હતા. ત્યારે ખેરાલુ હાઈવે પાસે કારમાં આગ ફાટી નીકળતા ત્રણ જણા કારમાં જ જીવતા ભૂંજાયા હતા. તો કારચાલક સહિત એક મહિલાને બચાવી લેવાયા હતા, જેઓને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતો પટેલ પરિવાર આજે અંબાજી દર્શન કરવા નીકળ્યો હતો. પટેલ પરિવાર મૂળ વડનગરના કરબટિયા ગામનો વતની છે. ત્યારે વહેલી સવારે પરિવારના પાંચ સદસ્યો અંબાજી દર્શન કરવા નીકળ્યા હતા.

                  ત્યારે ખેરાલુ હાઈવે પર કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કાર સીએનજી હતી, એટલે વધુ આગ પકડાઈ હતી, અને કાર બેકાબૂ બની જતા વૃક્ષ સાથે અથડાઈ હતી. ત્યારે પટેલ પરિવારની બે દીકરી અને તેમના દાદી કારમાં જ જીવતા ભૂંજાયા હતા. પરંતુ કારમાં સવાર દંપતીનો બચાવ થયો હતો. પરંતુ અકસ્માતથી તેઓ પણ દાઝી ગયા હતા. દંપતીને સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેઓ ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતથી ઘટના સ્થળે અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. તો અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ટ્રાફિક પણ જામ થયો હતો.

(7:24 pm IST)