ગુજરાત
News of Friday, 2nd October 2020

સુરતની સ્મીમેર હોસ્પિટલના તબીબોની કમાલઃ મુક-બધિર યુવાનને સાઇન લેન્ગવેજના માધ્યમથી કોરોનાની સફળ સારવાર આપી સાજા કર્યો

સુરતઃ કોઈ વ્યકિત સાંભળી કે બોલી શકતું ન હોય તેવા જન્મજાત દિવ્યાંગ યુવાનની સારવાર કરવા ડોકટરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિની સારવારમાં પણ ડોક્ટરોએ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, છતાં પણ સુરતની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ આવી જન્મજાત દિવ્યાંગ વ્યક્તિ સાથે સાઇન લેન્ગવેજમાં વાતચીત કરીને કોરોનાની સારવાર આપી હતી.
મૂકબધિર વ્યક્તિ 14 દિવસની સારવાર બાદ સાજો થયો
સુરત સ્મીમેર હોસ્પિટલ તબીબોએ કોરોના સંક્રમિત દિવ્યાંગ (મૂકબધિર) લિંબાયતના સાગર સત્યનારાયણને 14 દિવસની સારવાર બાદ સ્વસ્થ કરવામાં સફળતા મેળવી હતી. સાંભળી ન શકતા અને બોલી ન શકતા એવા દર્દી સાથે સાઇન ભાષામાં વાતો કરી હિંમત આપી સ્વસ્થ કરવામાં મહત્વનું યોગદાન આપનાર મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો.મીતી દેસાઇ અને રેસિડન્ટ ડો.હસ્તિની કોઠારીએ જણાવ્યું હતું કે, 9મી સપ્ટેમ્બરના રોજ લીંબાયત વિસ્તારમાંથી  ગંભીર હાલતમાં 26 વર્ષીય સાગર સત્યનારાયણને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઓક્સિજન લેવલ ઓછું હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. દર્દીની સારવાર કરતાં જાણ થઇ કે, દર્દી બોલી પણ શકતા નથી અને સાંભળી પણ શકતા નથી. તેમની પરિસ્થિતિ જોઇ એવું લાગતું હતું કે, માનસિક રીતે પડી ભાગ્યાં છે. તેમની સાથે સાઇન ભાષામાં, ઇશારાથી વાતો કરીને સમયસર જમવાનું, દવા તથા અન્ય સારવાર કરી હતી.
તબીબો દ્વારા તેમને અપાતી હતી હિંમત
તબીબોની ટીમ તેમને કોરોનાને હરાવવા હિમત આપતી હતી. આમ 14 દિવસની સારવારમાં ચાર દિવસ વેન્ટિલેટર અને આઠ દિવસ ઓક્સિજન પર રહ્યા બાદ તબિયતમાં સુઘારો આવતા 22મી સપ્ટેમ્બરના રોજ રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી. જ્યારે આવા દર્દીઓ સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે કામ કરવાની વઘુ હિંમત મળતી હોવાનું ડો.મીતીબેન જણાવ્યું હતું. છે. એમના પરિવાર કરતાં વઘુ ખુશી અમને થઇ રહી છે.
કોરોના મુકત સાગર સત્યનારાયણના ભાઇ સોમેષ સત્યાનારાયણે જણાવ્યું હતું કે,  મારો નાનો ભાઈ સાગરને ૭મી સપ્ટેમ્બરના રોજ તબિયત બગડતાં પ્રાઇવેટ હોસ્પિટલમાંથી દવા લાવ્યા હતા. પરંતુ એમને શ્વાસ લેવામાં વઘુ તકલિફ થતા સ્મિમેર હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવતા દાખલ કરવામાં આવ્યો. અમારા પરિવારને વધુ ટેન્શન એ વાતનું હતું કે, બોલી કે સાંભળી ન શકતો નથી. પરંતુ સ્મિમેર હોસ્પિટલના તબીબો એમની સાથે સાઇન ભાષામાં વાત કરી એમનું ધ્યાન રાખી સારવાર કરી છે એમનો જેટલો અમે આભાર માનીએ છીએ. તબીબોની મહેનતના પરિણામે અમારા ભાઈને નવી જીંદગી મળી છે.

(5:22 pm IST)