ગુજરાત
News of Tuesday, 2nd November 2021

સિઝેરીયન ડિલીવરીના કારણે પ્રસુતા મીહલાના શરીરમાં ચેપ લાગવાનું જોખમ સૌથી મોટુ અને ઘાતકઃ બાળકોને પણ શવસન રોગ થવાનું જોખમઃ આણંદના ડો. મયંક ચૌહાણનું નિવેદન

નોર્મલ ડિલીવરી અશક્‍ય અને જોખમકારક હોય તો જ સિઝેરીયન કરાવવુ જોઇએ

આણંદ: શહેરમાં જિલ્લા કક્ષાની સીવીલ હોસ્પીટલ નહી હોવાનાં કારણે જનરલ હોસ્પીટલને સીવીલનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે જનરલ હોસ્પીટલનાં પ્રસુતિ વિભાગ દ્વારા માસીક 100 થી વધુ સફળ નોર્મલ ડીલીવરી કરાવવામાં આવી રહી છે. મહત્તમ પ્રયાસો નોર્મલ ડીલીવરી માટે કરાય છે. જેને લઈને હોસ્પીટલમાં પ્રસુતી માટેનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. જે સામાન્ય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે રાહતરૂપ બન્યા છે, ત્યારે નોર્મલ ડીલીવરીનાં ફાયદા અને સીઝેરીયન ડીલીવરીનાં ગેરફાયદાઓ પણ ધણા રહેલા છે.

આણંદ શહેરની જનરલ હોસ્પીટલનાં તબીબ મયંક ચૌહાણએ કહ્યું હતું કે, જનરલ હોસ્પીટલમાં અગાઉ પ્રસુતી માટેની કોઈ સુવિધા નહી હોવાનાં કારણે ગરીબ અને મધ્યમવર્ગીય મહિલાઓને પ્રસુતી માટે ખાનગી હોસ્પીટલમાં જવું પડતું હતું. જો કે જનરલ હોસ્પીટલમાં છેલ્લા ત્રણ માસથી પ્રસુતી વિભાગ શરુ થતા હાલમાં માસિક 100 થી વધુ નોર્મલ ડીલીવરી દ્વારા બાળકનો જન્મ કરાવવામાં આવી રહ્યો છે. મહત્તમ પ્રયાસો નોર્મલ ડીલીવરી માટે કરાય છે. જયારે ના છુટકે જ સીજેરીયન ડીલીવરી કરાવવામાં આવે છે. જેનાં કારણે સામાન્ય અને ગરીબ પરિવારની ગર્ભવતી મહિલાઓ પ્રસુતી માટે જનરલ હોસ્પીટલમાં આવી રહી છે.

ડૉ.મયંક ચૌહાણએ કહ્યું હતું કે, સીઝેરીયન ડીલીવરીનાં ઘણા ગેર ફાયદાઓ રહેલા છે. જેમાં  પ્રસુતા મહિલાનાં શરીરમાં ચેપ લાગવાનું જોખમ સૌથી મોટુ અને ઘાતક છે. બીજું, આ ક્રિયા સાથે, રક્તનું મોટું નુકશાન છે. તેમજ  શસ્ત્રક્રિયા પછી પીડા  કેટલાંક અઠવાડિયા સુધી જે રહે છે. આ ઉપરાંત શસ્ત્રક્રિયા સાથે જન્મેલ બાળકોને શ્વસન રોગો વિકસવાનું જોખમ રહેલું છે. જેથી જો નોર્મલ ડીલીવરી અશકય અને જોખમકારક હોય તો જ સીજેરીયન કરવું જોઈએ. અન્યથા નોર્મલ ડીલીવરીનો જ આગ્રહ રાખવો જોઈએ. નોર્મલ ડીલીવરી બાળક અને માતા બન્નેનાં સ્વાસ્થય માટે સારી રહેલી છે.

આ અંગે જણાવતા પ્રસુતી વિભાગનાં ઇન્ચાર્જ મયંક વ્યાસે જણાવ્યું કે, અન્ય હોસ્પીટલોમાં સીજેરીયન ડીલીવરી માટે સલાહ બાદ જનરલ હોસ્પીટલમાં રીફર કરાયેલા કેસોમાં પણ તબીબોએ કુનેહ પૂર્વક નોર્મલ ડીલીવરી કરાવવામાં આવી હોવાનાં દાખલાઓ છે. ઉપરાંત હોસ્પીટલમાં સરકારની યોજનાઓનો લાભ સાથે દર્દીઓને સારી સારવાર મળી રહી છે. જેનાં કારણે હોસ્પીટલમાં તદ્દન નિશુલ્ક ડીલીવરી કરાવવામાં આવે છે. જે ગરીબ અને સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો માટે આશિર્વાદ રૂપ છે,અને દર્દીઓ પણ સારી સારવાર મળી રહેતા સરકારની યોજનાઓનો આભાર વ્યકત કરી રહ્યા છે.

(5:01 pm IST)