ગુજરાત
News of Thursday, 2nd December 2021

સુરતના પતિના અનૈતિક સંબંધથી કંટાળી પરિણીતાએ ત્રણ વર્ષીય પુત્રનું ગળું દબાવી આપઘાત કરાવી લેતા ચકચાર

સુરત: શહેરના ઉગત-ભેંસાણ રોડ સ્થિત વીર સાવરકર હાઇટ્સના મીંઢોળા એપાર્ટમેન્ટમાં અરવિંદ પરમારને ત્યાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી રહેતી પુત્રી પ્રિયવંદના ઉર્ફે પીન્કી સતીષ કોસંબીયા (ઉ.વ. 31) એ વ્હાલસોયા સાડા ત્રણ વર્ષના પુત્ર રિષભ ઉર્ફે રીશુનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને પીન્કીની ફાંસો ખાધેલી લાશ નજીકથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં મારો રીશુ મારો દીકો, મેં ગળું દાબીને મારી નાંખ્યો, મારૂ ઢીંગલું, આઇ લવ યુ સો મચ રીશુ, એ જીવતે તો એની જીંદગી બરબાદ થઇ જતે, મારા હાથ બો જ ધ્રુજતા હતા, મારા ઢીંગલાને મારતા હું બો રડતી હતી, કાશ સતીષ તું સમજતે, તારી માં સમજતે, મને અને રીશનું તારી બો જરૂર હતી સહિતની પોતાની વેદના ઉપરાંત સગી ભાભી ભાવના સાથેના અફેર હોવાનું અને આ બાબતથી સાસુ લલીતાબેન વાકેફ હોવા છતા કંઇ બોલતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જયારે પીન્કીના પિતા અરવિંદ પરમારે આક્ષેપ કર્યો હતો કે લગ્નના ગણતરીના દિવસો બાદ શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. પીન્કીના પુત્ર રીષભના સ્કૂલમાં એડમિશન માટે ફી ના 60 હજાર રૂપિયા આપવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. જેથી કંટાળીને પીન્કીએ આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે પતિ સતીષ લલીત કોસંબીયા, સાસુ લલીતાબેન નગીન કોસંબીયા અને જેઠાણી ભાવના સુરેશ કોસંબીયા (તમામ રહે. ઓમકાર એપાર્ટમેન્ટ, સંત તુકારામ સોસાયટી-6, પાલનપુર જકાતનાક) વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

(5:34 pm IST)