જમાલપુર વિસ્તારમાં કર્ફ્યુ સમયે રિક્ષા ચાલકને રોકતા પોલીસ સાથે ઝપાઝપી કરીને છરી મારી
આરોપીએ બીજી વખત છરી મારતા પોલીસ જવાનને પિંડીના ભાગે છરી વાગી અને લોહી નીકળ્યું
અમદાવાદ :જમાલપુર વિસ્તારમાં કરફ્યુ સમયે બહાર નીકળેલ રિક્ષા ચાલકને રોકતા જ રિક્ષા ચાલકે પોલીસ સાથે ઝપાઝપી કરીને છરી મારી દીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોક રક્ષક નરેન્દ્રસિંહ ગત મોડી રાત્રે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે સમયે રાત્રિના ૩ વાગ્યાની આસપાસ જમાલપુર ચાર રસ્તા પાસે એક રિક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતો હતો, તેને રોક્યો હતો.
જોકે કરફ્યુ સમયે બહાર નીકળવા અંગે પૂછપરછ કરતાં આ રિક્ષા ચાલકે સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. જેથી ફરિયાદી અને હાજર સ્ટાફે તેની અંગજડતી તપાસ કરી રહ્યા હતા.
આ દરમિયાન રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને 'તમે પોલીસવાળા ઓ મને કેમ રોક્યો છે. મને જવા દો' તેમ કહીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં રિક્ષા ચાલક નીચે પડી ગયો હતો. અને એકદમ ઊભો થઈને તેની પાસે રહેલ છરીથી ફરિયાદી પોલીસ જવાનને ગાળાના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ જવાન સ્વબચાવ કરતા પડી ગયા હતા. પરંતુ આરોપીએ બીજી વખત છરી મારતા પોલીસ જવાનને પિંડીના ભાગે છરી વાગી હતી, અને લોહી નીકળ્યું હતું. આ જોઈ તુરંત આરોપીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી પણ આગળ જતાં નીચે પટકાયો હતો.
હાજર અન્ય સ્ટાફે ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તાત્કાલિક સારવાર આપીને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેને ઝડપી લીધો છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.