ગુજરાત
News of Tuesday, 3rd August 2021

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છના પી.જી.વી.સી.એલ. વિભાગની સમીક્ષા બેઠક

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની વીજળી વિભાગની પરિસ્થિતિથી મંત્રીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વાકેફ કર્યા : નાગરિકોની તકલીફો નિવારવા પાવર કટનો સમય ઓછામાં ઓછો રાખવો મંત્રીએ ઉપસ્થિતોને તાકીદ કરી

રાજકોટ :ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પી. જી. વી. સી .એલ. વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ હતી. પી.જી.વી.સી.એલ.ના કોર્પોરેટ ભવન ખાતેના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં મંત્રી સૌરભભાઇને આવકારતા મેનેજિંગ ડિરેક્ટર ધીરજકુમાર પંડ્યાએ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની વીજળી વિભાગની પરિસ્થિતિથી મંત્રીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વાકેફ કર્યા હતા.
મંત્રીશ્રીએ ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા, એવરેજ ઈન્ટરપ્શનનુ ધ્યાન રાખવા,  ફીડરોની યોગ્ય જાળવણી કરવા, લાઇનવર્ક દુરસ્ત કરવા, વધુ લોસવાળા ફીડરનુ ચેકિંગ કરવા અને જરૂર પડ્યે પોલીસ પ્રોટેક્શન લઈને વીજચોરી કરતા વિસ્તારોમાં સઘન તપાસ કરવાની ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આમ નાગરિકોની તકલીફો નિવારવા પાવર કટનો સમય ઓછામાં ઓછો રાખવો મંત્રી સૌરભભાઈએ ઉપસ્થિતોને તાકીદ કરી હતી.
ઉર્જામંત્રીશ્રીએ મરામત હેઠળના ટ્રાન્સફોર્મરનો સ્ટોક જાળવવા પણ જણાવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિમાં વીજ પુરવઠાની જાળવણી પૂર્વવત કરી શકાય. કિસાન સૂર્યોદય, જ્યોતિગ્રામ, થ્રી ફેઇઝના કૃષિ વીજ કનેક્શન વગેરે જેવી સરકારી યોજનાઓની ઉર્જામંત્રીએ છણાવટ કરી હતી. અને પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા તાકીદ કરી હતી. વિવિધ સર્કલોમાં પડેલા સ્ક્રેપનો સત્વરે નિકાલ કરવા પણ તેમણે ઉપસ્થિતોને આદેશો આપ્યા હતા.
ઉર્જા મંત્રી સૌરભભાઈએ "તાઉતે''  વાવાઝોડા બાદ અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં થઈ રહેલી વીજ પુનઃસ્થાપનની પ્રક્રિયા વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં ચીફ એન્જિનિયરરી માવાણી, એડિશનલ ચીફ એન્જિનિયર ભટ્ટ, તથા ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, જુનાગઢ, સોમનાથ, કચ્છ વગેરેના અધિક્ષક ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.

(7:03 pm IST)