આણંદના લાંભવેલ રોડ નજીક ઘરકામ કરતી નોકરાણીએ તિજોરીમાંથી દાગીના સહીત 16 હજારની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ
આણંદ:શહેરના લાંભવેલ રોડ ઉપર આવેલા સાંઈબાબા મંદિર નજીકના ગંગાબા પાર્કમાં ઘરકામ કરવા માટે આવતી નોકરાણીએ તિજોરીમાંથી સોનાના દાગીના તેમજ મોાબાઈલ મળીને ૧૬ હજારની મત્તાની ચોરી કરીને નોકરી છોડી દેતાં આ અંગે શહેર પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી સુષ્માબેન આશીષભાઈ પરમાર ઉમરેઠ તાલુકાના ઘોળી ગામે મદદનીશ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમના પતિ પણ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં નોકરી કરે છે. જેથી પુત્ર અને સાસુની સંભાળ રાખવા તેમજ જમવાનું અને ઘરકામ કરવા માટે આણંદ શહેરના નીલમપાર્ક સોસાયટીમાં રહેતી સ્મીતાબેન કમલેશભાઈ ક્રિશ્ચિયનને માસિક ૮ હજારના પગારથી બે વર્ષ પહેલા નોકરીએ રાખ્યા હતા. તેણીએ ગત ૯મી જુલાઈના રોજ નોકરીએ આવવાનું બંધ કરી દીધું હતુ. જેથી શંકા જતા લાકડાંની તિજોરીમાં તપાસ કરતાં ઘરમાં જ રહેતી તિજોરીની ચાવીથી સ્મીતાબેને લોક ખોલીને અંદરથી સોનાની બે વીંટી, એક જોડ બુટ્ટી તેમજ મોબાઈલ ફોન મળીને કુલ ૧૬ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી.