ગુજરાત
News of Tuesday, 3rd November 2020

રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો : કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરખમ ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા

રાજયમાંથી હજુ કોરોનાનો વાયરસ ગયો નથી : નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની ખુબ જરૂર : યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝર વાપરવું અનિવાર્ય

ગાંધીનગર : ઔષધ નિયમન કમિશ્નર શ્રી ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે, રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. 

શ્રી કોશિયાએ ઉમેર્યુ કે,સમગ્ર વિશ્વમાં કોવિડ-૧૯ માર્ચ-૨૦૨૦થી પેન્ડેમિક સ્વરૂપે ફેલાવો થતાં માર્ચ-૨૦૨૦થી મીડ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો દેશમાં અને રાજ્યમાં જોવા મળ્યો હતો કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિના માર્ગદર્શન હેઠળ સમય બધ્ધ આયોજનના પરિણામે સંક્રમણ અટકાવવામા સફુળતા મળી છે.તેમણે કહ્યુ કે, કોવિડ-૧૯ની સારવારમાં વપરાતો મેડિકલ ઓક્સીજન આઇ.પી.અને રેમડેસીવીર ઇન્જેકશન તથા ફેવિપિરાવીર ટેબલેટ ૨૦૦ મિલીગ્રામ અને ૪૦૦ મિલીગ્રામ ની માંગમાં અને વપરાશમાં સતત વધારો જોવા મળેલ હતો. 

તેમણે ઉમેર્યુ કે,ઓક્ટોબર ૨૦૨૦થી કોવિડ-૧૯ના નવા તથા એકટીવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થતાં કોવિડ-૧૯ની સારવાર માટે લાઇફ સેવિંગ એવા, મેડિકલ ઓક્સિજનની માંગ અને વપરાશ જે સપ્ટેમ્બર-૨૦૨૦માં ૨૪૦ મેટ્રિક ટન પર ડે હતી તે ઓક્ટોબર અંતમાં ઘટીને ૧૩૫ મેટ્રીક ટન પર ડે એટલે કે પ્રતિ દિન વપરાશમાં ૧૦૦ મેટ્રિક ટનનો ઘટાડો જોવા મળેલ છે તે જ રીતે મોડરેટ અને સીવીયર કોવિડ-૧૯ દર્દીની સારવાર માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેકશન  જે  સપ્ટેમ્બર માસમાં ૧ લાખ ૮૦ હજાર હતો તેનો ઓક્ટોબરમાં વપરાશ ફકત ૮૩ હજાર ઇન્જેકશનનો (ઓપન માર્કેટમાં) તથા રાજય સરકારની હોસ્પિટલોમાં ૪૦ હજારનો વપરાશ હતો તે  ઘટીને ૩૦ હજાર ઇન્જેકશન જેટલો થયોવછે. 

શ્રી કોશિયા એ કહ્યુ કે,કોવિડ-૧૯ના માઇલ્ડ કેસમાં સારવાર માટે વપરાતી ફેવીપિરાવિર ટેબલેટ ૨૦૦ મિલીગ્રામ જે સપ્ટેમ્બરમાં ૨૬ લાખ ટેબલેટનો વપરાશ હતો તે ઓક્ટોબરમાં ઘટીને ૪ લાખ જેટલો નીચે આવ્યો છે. તે જ રીતે ફેવિપિરાવિર ૪૦૦ મિલીગ્રામ ટેબલેટ જે સપ્ટેમ્બરમાં ૬ લાખ જેટલી ટેબલેટનો વપરાશ હતો તે ઘટીને ૨.૮ લાખ સુધી નીચે આવ્યોછે. આમ, રાજયમાં કોરોનાના કેસ ઘટી રહયા છે અને સાથે સાથે તેની સારવારમાં ઉપયોગી એવા મેડિકલ ઓક્સિજન, રેમડેસીવીર ઇન્જેકશન અને ફેવિપિરાવિર ટેબલેટની માંગ અને વપરાશમાં મોટો ઘટાડો જોવા મળેલ છે. જે રાજય માટે રાહતના સમાચાર છે. 

તેમણે ઉમેર્યુ કે,હજુ કોરોનાનો વાયરસ ગયો નથી ત્યારે નાગરિકોએ ડરવાને બદલે સાવચેતી રાખવાની ખુબ જરૂર છે આ માટે યોગ્ય સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવું તથા વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝર વાપરવું જેથી કરીને કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવી શકાય.નાગરિકોને જે રીતે સહયોગ મળી રહ્યો છે એવો જ સહયોગ આગામી સમયમા મળતો રહેશે તો ચોકકસ  કોવિડ-૧૯ના કેસો ઉતરોત્તર જે રીતે ઘટા રહ્યા છે એમાં વધુ ઘટાડો થશે અને ગુજરાત કોરોનામુકત ઝડપથી બનશે આ માટે રાજયના તમામ નાગરિકોએ સાવચેતી રાખવી તેટલી જ અગત્યની છે.

(3:56 pm IST)