નડિયાદમાં તસ્કરોનો તરખાટ: છાશવારે ઘરમાં ઘુસી 5.40 લાખની મતાની ઉઠાંતરી કરી ગઠિયા રફુચક્કર
નડિયાદ:શહેરમાં તસ્કરોનો આતંક યથાવત છે. છાશવારે તસ્કરો કોઈના કોઈ ઘરમાં ઘૂસી ઘરફોડ ચોરીને અંજામ આપી રહ્યા છે. પરંતુ પોલીસ આ તસ્કરોને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી છે. હજુ તો થોડા દિવસો અગાઉ પ્રોફેસરનું ઘર તેમજ અન્ય એક રોડ કંપનીની ઓફિસમાં ચોરીની ઘટના બની હતી. જે બાદ આજે ૧૭ દિવસથી બંધ શહેરના જાણીતા ઉદ્યોગપતિ સી. એમ. સ્મીથના મકાનમાં ૫.૪૦ લાખની મત્તાની ચોરી થવા પામી છે. ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસનો દોર હાથ ઘર્યો છે. આ અંગેની મળતી વિગતો અનુસાર શહેરની મહા ગુજરાત હોસ્પીટલ પાછળ આવેલી અલકાપુરી સોસાયટીમાં રહેતા અને નડીઆદ તેમજ ભુમેલ ખાતે જાણીતી કંપની ધરાવતા અશ્વીનભાઈ રતિલાલભાઈ સ્મીથ ગત ૧૪મી ઓક્ટોમ્બરથી અમદાવાદ ખાતેના મકાનમાં પરિવાર સાથે રહેે છે. દરમ્યાન કોઈ તસ્કરોએ ત્રાટકીને બંધ મકાનના ઉપરના બેડરૂમના બારણાની લાકડાની ત્રણ પટ્ટીઓ કાઢી નાંખીને અંદર પ્રવેશ કરી તિજોરીનુ લોક તોડીને લોકરમાં મુકેલા ૫.૪૦ લાખની મત્તાના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.