ગાંધીનગરમાં સે-6માં સરકારી કર્મચારીઓ માટે નવી આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું
ગાંધીનગર: ધનતેરસના શુભ દિવસે પાટનગરના સેક્ટર -૬માં સરકારી કર્મચારીઓ માટેની નવી આવાસ યોજનાનું વીર ભગતસિંહ નગર નામાભિધાન કરવા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રૃપિયા ૧૫૦ કરોડના ખર્ચે અહીં બી ટાઇપના ૨૮૦ અને સી ટાઇપના ૨૮૦ મળીને ૫૬૦ ફ્લેટ ટાઇપ આવાસ બાંધવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગના મંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૫ કર્મચારીને પ્રતિકાત્મક આવાસ ફાળવણી કરાઇ હતી અને કર્મચારી પરિવારની દિકરીના હસ્તે કુંભ મુકવામાં આવ્યો હતો. આ તકે મુખ્યમંત્રીએ કહ્યું કે નગરમાં હાલમાં રૃપિયા ૩૬૫ કરોડના ખર્ચે વધુ ૧,૪૫૬ આવાસ બંધાઇ રહ્યાં હોવાથી નજીકના દિવસોમાં વધુ કર્મચારીઓને આવાસ સુવિધા મળશે.
ગાંધીનગરમાં કર્મચારીઓ માટે સરકારી આવાસની ઘટ પરુવા માટે છેલ્લા ૫ વર્ષમાં શ્યામજીકૃષ્ણ વર્મા પાર્ક, વીર સાવરકર નગર અને વંદેમાતરમ પાર્ક નામની ત્રણ વસાહત ઉભી કરીને રૃપિયા ૨૧૯ કરોડના ખર્ચે ૧,૧૨૦ ફ્લેટ બાંધીને કર્મચારીઓને અપાયા બાદ સેક્ટર ૬માં વીર ભગતસિંહ નગરના નામથી નવી વસાહતમાં ૫૬૦ આવાસની સુવિધા ઉભી કરવામાં આવી છે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ આવાસની અંદર ફરીને તથા ઉભી કરાયેલી ગાર્ડન, પાણી, પાકગ, ગેસ પાઇપ લાઇન, લિફ્ટ સહિતની જાહેર સુવિધાઓનું પણ નીરિક્ષણ કર્યુ હતું. આ યોજના પાછળ રૃપિયા ૧૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યાનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યુ હતું. આ પ્રસંગે સાંસદ નરહરી અમિન, મેયર સહિત મહાપાલિકાના પદ્દાધિકારીઓ અને માર્ગ અને મકાન વિભાગ, પાટનગર યોજના વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.