ગુજરાત
News of Friday, 3rd December 2021

અમદાવાદના વકીલ દ્વારા મહેસૂલ વિભામાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા જેના પગલે રાજ્યના મહેલૂસ મંત્રીએ ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચીને જાત તપાસ કરી

જવાબદાર અધિકારીઓ તો સસ્પેન્ડ થશે જ પરંતુ તમે પણ કોઇ વ્હેમમાં નહી રહેતા આવું કહીને મહેલૂસ મંત્રીએ સ્થળ પર જ ઓફીસનાં એકે એક કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા

અમદાવાદ: રાજ્યમાં ભ્રષ્ટાચારનાં અવાર નવાર આરોપો લાગતા રહે છે. ખાસ કરીને પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગ આ મુદ્દે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. આ સંલગ્ન અલગ અલગ વિભાગો પર એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ પણ ગોઠવવામાં આવતા હોય છે. આ ટ્રેપમાં અનેક અધિકારીઓ અને અનેક કર્મચારીઓથી માંડીને વચેટિયાઓ પણ વારંવાર ઝડપાતા રહે છે. જો કે આ વખતે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં હાઇકોર્ટનાં એક વકીલ દ્વારા મહેસુલ વિભાગની પોલ ખોલવામાં આવી છે.

મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા વકીલે સ્પષ્ટ રીતે સામે આવ્યા છે. અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેક્ટર કે.કે શાહ અને કર્મચારી પંકજ શાહ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. જે અંગેની ઓડિયો ક્લિપ વકીલ દ્વારા સીધી જ મહેસુલ મંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા માટે કરેલી અપીલનાં પગલે અમદાવાદ હાઇકોર્ટમાં વકીલે સમગ્ર મામલે સ્ટિંગ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ પોલીટેક્નિક રેજિસ્ટ્રાર કચેરીએ પહોચ્યા હતા. અમદાવાદના વકીલ દ્વારા મહેસૂલ વિભામાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા હતા. રાજ્યના મહેલૂસ મંત્રીએ ગંભીરતા દાખવીને ઘટના સ્થળે પહોંચીને જાતતપાસ કરી હતી. કચેરીના હાજર સ્ટાફને કડક ચેતવણી પણ આપી હતી. વકીલ દિપેન દવેએ મીડિયા સમક્ષ ફરિયાદો કરી હતી. દરેક કામ માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ હતી.

ભ્રષ્ટાચારના પુરાવા સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી થઈ શરૂ છે. આ ઉપરાંત માત્ર કાર્યવાહી કરીને સંતોષ નહી માનતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતે જ તપાસ કરવા માટે મહેસુલ કચેરી અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સીધી જ વાત કરી હતી. કોઇ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નહી ચલાવી લેવાય તેવું પણ જણાવ્યું હતું. જવાબદાર અધિકારીઓ તો સસ્પેન્ડ થશે જ પરંતુ તમે પણ કોઇ વ્હેમમાં નહી રહેતા. આવું કહીને તેમણે સ્થળ પર જ ઓફીસનાં એકે એક કર્મચારીના બદલીના આદેશ આપ્યા હતા.  જનતાનું કામ કરવા બેઠા છો અને તેનું પુરતુ મહેનતાણું તમને મળે છે. માટે નિષ્ઠાથી કામ કરો. જે નિષ્ઠાથી કામ કરે છે તેની પાછળ સરકાર ઉભી છે. ભ્રષ્ટાચારીઓને નહી છોડવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. 

(6:42 pm IST)