ગુજરાત
News of Friday, 3rd December 2021

નડિયાદમાં ડોકટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ બે લાખની મતાની ઉઠાંતરી કરતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

નડિયાદ: શહેરમાં આવેલ આર્યુવેદ કોલેજના તબીબના મકાનના લોખંડના દરવાજાનું તાળુ તોડીને તસ્કરો બે લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ નડિયાદ સ્થિત જે.એસ.આર્યુવેદ કોલેજ આવેલ છે. આ કોલેજમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો. નિમેષ ગુણવંતભાઈ કાછીયા પટેલ ગત ૨૯મી નવેમ્બરેના રોજ સાંજે ઓફિસર ક્વાર્ટરના મકાનમાં લોખંડના દરવાજાને તાળું મારી સ્વજનની લૌકિક વિધિમાં અર્બુદનનગરમાં આવેલા ઘરે ગયા હતાં. ત્યાંથી આજે બપોરે ઘરે આવ્યા ત્યારે લોખંડના દરવાજાનું તાળું તૂટેલું હતું. જે બાદ ઘરમાં આવી તપાસ આદરતા તિજોરીમાંથી સોનાનું મંગળસૂત્ર, બે તોલાનું સોનાની બંગડીઓ નંગ ૩, સોનાનો સેટ, ચાંદીના છડા, ચાંદીના સિક્કા નંગ ૧૭ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૨,૮૭,૫૦૦ની મતાની ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જેથી આ બનાવ સંદર્ભ નડિયાદ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

(6:49 pm IST)