દહેગામ-નરોડા હાઇવે નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું કમકમાટીભર્યું મોત
દહેગામ : દહેગામ નરોડા ને જોડતો હાઇવે અકસ્માતો માટે કુખ્યાત બની રહ્યો છે. આ રોડ પર અનેક અકસ્માતો માં અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં આ માર્ગને ફોર લેન કર્યા બાદ પણ અકસ્માત નો સિલસિલો ચાલુ રહેવા પામ્યો છે. ગત રાત્રે નરોડા રોડ પર આવેલ શિવનગર ફાર્મ પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે દહેગામના એક યુવાનનું મૃત્યુ થવા પામ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ દહેગામના રહીશ અને શ્રીનાથ આર્કેડ ખાતે ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા નરેન્દ્ર રમણભાઈ રૃડાણી ગત રાત્રે તેમની ફેક્ટરી થી દહેગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે કોઈક અજાણ્યા વાહને તેમના દ્વિચક્રી વાહનને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેના પગલે તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને તેમનું કરુણ મોત નિપજ્યું હતું. દહેગામ નરોડા હાઇવે ફોરલેન થયા બાદ ખરાબ ગુણવત્તાની કારણે તેમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા તો વારંવારની રજૂઆતોના પગલે તેને રીસરફેસ કરવાની બદલે તેમાં થીગડા મારવામાં આવ્યા છે. જેને કારણે રાત્રિના સમયે દ્વિચક્રી વાહન ના ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે આવા આશાસ્પદ યુવાનો અકસ્માતોમાં હોમાઈ રહ્યા છે.આ મામલે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.