ગુજરાત
News of Tuesday, 4th May 2021

સરકારે કેસના આંકડા ઘટાડવા માટે ટેસ્ટિંગ ઘટાડયું

હાઈકોર્ટમાં સુનાવણીઃ એડવોકેટ એસોસિએશનની રજુઆત

અમદાવાદ, તા.૪: ગુજરાત હાઇકોર્ટે રાજયની કોરોના સ્થિતિ ધ્યાને રાખી લીધેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી થઈ છે. ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિયેશન પાસે માંગેલા સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજયની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાની એડવોકેટ એસોસિયેશને રજૂઆત કરી છે. સાથે જ કહ્યું કે, રાજયના અનેક વિસ્તારોમાં સરકારની ગાઈડલાઈનનું અમલીકરણ નથી થતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી માળખાની સુવિધાઓનો અભાવ અને RTPCR ટેસ્ટિંગના માળખાનો રાજયમાં અભાવ હોવાની રજૂઆત કરાઈ.

એડવોકેટ એસોસિયેશનના એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરાઈ કે, રાજયમાં તાલુકા કક્ષાએ ખરાબ પરિસ્થિતિ છે. સાયલામાં ઓકિસજન અને આઇસીયું સાથેની હોસ્પિટલ નથી. RTPCR રિપોર્ટ માટે ૩ થી ૪ દિવસ સુધી રાહ જોવી પડે છે. કલેકટરે સરકારી કર્મચારીઓને પ્રથમ સારવાર આપવાનો તદ્યલખી નિર્ણય કરેલો છે. તો બીજી તરફ, ૪૫ વર્ષથી ઉપરની વયના લોકોને અચાનક વેકસીન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું તેની પાછળનું કારણ સમજ નથી પડતી. માત્ર પ્રેસનોટ મારફતે લોકોને જાણ કરી દેવામાં આવી છે. વેકસીનેશનને લઈને યોગ્ય માહિતી લોકો સુધી પહોંચતી નથી. કયારે મળશે અને કેવી રીતે મળશે તેની માહિતી સરકાર પાસે પણ નથી.

સાથે જ ઓકિસજનની ઓકિસજનના જથ્થા વિશે પણ એસોસિયેશને રજૂઆત કરી કે, ઓકિસજનનો જથ્થો કયારે અને કેટલો આવશે તેની માહિતી સરકાર પાસે પણ નથી. ૪૫ વર્ષથી ઉપરના લોકોનું વેકસીનેશન બાકી છે, છતાં હાલ તેમને વેકિસન આપવાની બંધ કરી દેવામાં આવી છે.

શાલીન મહેતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે, કોરોનાના rtpcr ટેસ્ટ ૨૩ એપ્રિલથી ૧.૮૯ લાખ હતા, તે ઘટીને ૧.૩૮ થયા છે  આંકડા ઘટાડવા માટે ટેસ્ટ ઘટાડવામાં આવ્યા છે. ધન્વંતરિ હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ગઈકાલે મને એક કોલ આવ્યો હતો કે ધન્વંતરિ હોસ્પિટલમાં લંચ છેક સાંજે ૪:૦૦ વાગે આપવામાં આવ્યું હતું.

તો હાઇકોર્ટ સમક્ષ શાલીન મહેતાએ કહ્યું કે, આવનારા ૧૫ દિવસમાં જ સંક્રમણની ચેઇન તોડી શકાય છે. આ માટે સરકારે લોકડાઉન મૂકવું જોઈએ. નબળા વર્ગના લોકો માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ. આવનારા દિવસોમાં લગ્નો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ગંભીર દર્દીઓની હાલત ખરાબ છે. હોસ્પિટલો કહી રહી છે કે, ઓકિસજન નહિ મળે, દાખલ થવું હોય તો થાવ. હોસ્પિટલમાં સફાઈ પણ કરાતી નથી. બપોરનું જમવાનું સાંજે ૪ વાગ્યે મળે છે. ધન્વંતરિ રથની કામગીરી માટે જાહેરાતો થઈ, પણ સંતોષકારક કામગીરી નથી થઈ.

(4:48 pm IST)