સુરતની ગજેરા સ્કુલમાં ધો.૬ થી ૮ના ઓફલાઇન વર્ગો શરૂ કરી દેવાયાઃ કોરોનાકાળ છતાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરાતા રોષ
સોશ્યલ ડિસ્ટન્સ વગર વિદ્યાર્થીઓને કલાસમાં બેસાડ્યા
સુરત: ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે સુરતની ગજેરાના સ્કૂલના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે. સરકારની પરમિશન વગર જ ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા છે. આ ઘટનાથી કહી શકાય કે જિલ્લા શિક્ષણાધિકારીના અધિકારીઓ હજી પણ નિંદ્રાધીન છે.
પરવાનગી વગર વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાયા
ગુજરાત સરકારે ધોરણ 9 થી ઉપરના વર્ગો શરૂ કરવા આદેશ આપ્યા છે. પરંતુ સુરતની ગજેરા સ્કૂલને કોઈ નિયમો લાગતા નથી તેવુ લાગે છે. સરકારથી ઉપરવટ જઈને સુરતની ગજેરા સ્કૂલે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. તપાસ કરાતા અહી ધોરણ 6 થી 8 ના વર્ગો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. આખરે કેમ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા.
વિદ્યાર્થીઓને ઘેંટાબકરાની જેમ ક્લાસમાં બેસાડાયા
તેમજ રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યુ કે, વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આખો રૂમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ધોરણ 6 થી 8 ના વર્ગોમાં કોરોના ગાઈડલાઈનનું કોઈ પાલન કરવામાં આવ્યુ ન હતું. તો ધોરણ 8 ના એક શિક્ષક સાથે વાત કરતા કહ્યું કે, તમે પ્રિન્સીપાલ સાથે વાત કરો. હુ કંઈ ન કરી શું.
સરકારની બેવડી નીતિ - કોંગ્રેસનો આરોપ
ગજેરા સ્કૂલની મનમાની વિશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ભાજપના નેતાઓને તમામ પ્રકારની છૂટ અપાઈ છે. સરકારની નીતિ, નિયત અને દુરંદેશીની ખોટ છે. સરકારની બેવડી નીતિ છે. તો સાથે જ ફીના રાહત મુદ્દે તેમણે કહ્યું કે, મહામારીના સમયમાં પ્રજાને રાહત આપવી જોઈએ. સંચાલકોની વકીલાત કરવાવાળી આ સરકાર વાલીઓને માત્ર રાહતની વાતો કરે છે. ફીના નામે ખુલી લૂંટ ચાલી રહી છે. અમે માંગ કરીએ છીએ કે સ્કૂલ ફી મુદ્દે રાહત આપવી જોઈએ.