ગુજરાત
News of Friday, 4th September 2020

ગુટખા, તમાકુ પર વધુ એક વર્ષ પ્રતિબંધ

નિકોટીનવાળા પાન - મસાલા પર પણ બાન : શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તમાકુ - સીગારેટ નહિ વેચી શકાય

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૪ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજયમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુકત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

રાજય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરેલ. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજયામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહેલ છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. ૧૧ લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવેલ છે.

(2:52 pm IST)