રાજપીપળા ની ઐતિહાસીક ધરોહર એવી લાલ ટાવરની ઘડિયાળ છ મહિનાથી બંધ: સત્વરે ચાલુ કરવા લાગણી
રાજવી નગરી તરીકે ઓળખાતા રાજપીપળા શહેરની બાકી ઐતિહાસિક ઇમારતોની જાળવણી રાખતું તંત્ર લાલ ટાવર ની ઘડિયાળ તરફ ધ્યાન આપે તેવી માંગ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર એ રાજવી નગરી તરીકેની ઓળખ ધરાવતું હોવા છતાં હાલ છેલ્લા લગભગ 6 મહિના થી ઐતિહાસિક લાલ ટાવર ની આખા ગામને ટકોરા સંભળાવતી ઘડિયાળ જાણે મૌન પડી ગઈ હોય એમ બંધ હાલત માં હોવા છતાં તંત્ર આ બાબતને નજર અંદાજ કરતું જણાઈ છે.રાજવી નગરી માં ઘણી ઇમારતો ઐતિહાસિક છે અને રાજપીપળા શહેર માં પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ સહિત અસંખ્ય પ્રવાસીઓ અન્ય ઐતિહાસિક ઇમારતો સાથે લાલ ટાવર નિહાળવા પણ આવતા હોય ત્યારે ટાવર ની શાન ગણાતી ઘડિયાળ જ જો બંધ હાલત માં હોય તો ચાંદ પર દાગ જેવી સ્થિતિ જોવા મળે છે.
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દેશ વિદેશ ના લાખો પ્રવાસીઓ આ તરફ આવતા હોય માટે આવી સ્ટેટ સમય ની ઐતિહાસિક ધરોહરો ની જાળવણી જરૂરી બની છે.તો લાગતા વળગતા વિભાગના અધિકારીઓ લાલ ટાવર ની આ બંધ ઘડિયાળ સત્વરે ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે.