ગાંધીનગર નજીક ખોરજ ગામની સીમમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા: લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય
ગાંધીનગર: નજીક આવેલાં ખોરજ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કેનાલમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઇ કરવામાં નહીં આવતાં ગટરનું ગંદુ પાણી ભરાઇ રહે છે અને કચરાના ઢગલા પણ ખડકાઇ રહેવાના કારણે અવર જવર કરતાં લોકોને દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે તો કેનાલની પાસે આવેલાં વસાહતી વિસ્તારના લોકો પણ પરેશાન થઇ રહ્યાં છે. મચ્છરોનો ઉપદ્રવ વધી જવાના કારણે રોગચાળાનો ફેલાવાનો ભય પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે.
ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયેલાં ખોરજ ગામમાં તંત્ર દ્વારા વર્ષો અગાઉ વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તે માટે કેનાલ બનાવવામાં આવી હતી. ગામમાં ભરાતું વરસાદી પાણી કેનાલમાં ભરાઇને આગળ જતું હતું. તો વરસાદી મોસમ બાદ સફાઇ કામગીરી કરવામાં નહીં આવતાં ગામમાં આવેલી ગટરોનું ખુલ્લામાં જતાં પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં કેનાલમાં બેક મારી રહ્યું છે. ગટરનું દુર્ગંધ યુક્ત પાણી કેનાલમાં ભરાવાથી પાસે આવેલાં વસાહતી વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થઇ ગયાં છે. ગટરના ગંદા પાણીની સાથે સાથે કચરો પણ કેનાલમાં ઠાલવવામાં આવી રહ્યો છે.