કલોલમાં ગાંધીનગરના રહીશની કારનો કાચ તોડી તસ્કરો 81 હજારની મતા ચોરી છુમંતર
ગાંધીનગર:શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે કલોલમાં આવેલી ભગવતી સોસાયટી બહાર ગઠીયાઓ સાળાના ઘરે આવેલા ગાંધીનગરના રહીશની કારનો કાચ તોડી તેમાંથી પ૦ હજાર રૂપિયા રોકડા અને ૩૦ હજારની સોનાની માળા અને મોબાઈલ મળી ૮૧ હજારની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સે-૪/એ પ્લોટ નં.૪૭૦/ર ખાતે રહેતા અને મુળ રાજસ્થાનના રમેશભાઈ પુંજીરામ જોશી સે-ર૯માં સરકારી પ્રેસમાં મશીનમેન તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે તેઓ તેમની માતા અને મોટા બહેન તેમજ કાકાના દીકરા સાથે રાજસ્થાનથી પરત આવ્યા હતા અને કલોલમાં ભગવતી સોસાયટી ખાતે તેમના સાળા તુકારામભાઈના ત્યાં કાર લઈને ખબર કાઢવા માટે ગયા હતા. જયાં તેમની કાર નં.જીજે-૧૮-બીઈ-૭૩૫૬ સોસાયટીના ગેટનું કામ ચાલુ હોવાથી બહાર પાર્ક કરી હતી. આ સમયે ગઠીયાઓએ કારનો ડ્રાઈવર સાઈડનો દરવાજો તોડીને તેમાંથી પ૦ હજાર રોકડા, સોનાની મગમાળા અને એક મોબાઈલ મળી ૮૧ હજારની મત્તા ચોરી લીધી હતી. રમેશભાઈ ખબર કાઢીને કાર પાસે આવ્યા ત્યારે ડ્રાઈવર સાઈડનો કાચ તુટેલો જણાયો હતો અને કારમાં તપાસ કરતાં ચોરી થયાનું જણાયું હતું. જેથી આ મામલે તેમણે કલોલ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગઠીયાઓને પકડવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજની પણ ચકાસણી શરૂ કરી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કારના કાચ તોડી ચોરી કરતી નવી ગઠીયા ગેંગને શોધવા માટે હવે ટીમો દોડાવવી પડે તેમ લાગી રહયું છે.