વિરમગામ-બહુચરાજી હાઇવે નજીક અકસ્માતના બનાવમાં ભરખમ વધારો: અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવાનનું ઘટનાસ્થળેજ મોત
વિરમગામ :વિરમગામ-બહુચરાજી હાઇવે ઉપર અવાર-નવાર અકસ્માતોના બનાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ - વીઠ્ઠલાપુર હાઇવે ઉપર એંદલા રોડ ઉપર અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ દસલાણા ગામના રહીશ આશિષભાઇ રસીકભાઇ પટેલ પોતાના ઘરેથી મોટરસાયકલ લઇને એંદલા ગામે આવેલ એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલ હતો. એંદલા ગામથી પૈસા ઉપાડી મોટરસાયકલ ઉપર દસલાણા પરત આવી રહ્યો હતો ત્યારે સાંજના વિરમગામ તરફથી આવતી કારના ચાલકે ગફલતભરી રીતે પૂરઝડપે રોડની રોંગ સાઇડમાં આવી મોટરસાયકલને ટક્કર મારી નાસી છૂટયો હતો.
આ બનાવમાં મોટરસાયકલ ચાલકને માથાના, શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દસલાણા ગામના આશાસ્પદ યુવાનનુંમોતથતા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી. મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવી હતી.