ગાંધીનગરના ખ-રોડ નજીક ત્રણ યુવાનો નશાની હાલતમાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન આવી પોલીસ જવાન પર હુમલો કરતા પોલીસ ફરિયાદ
ગાંધીનગર:શહેરમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટાડવા રાત્રી કરફયુ અમલમાં છે ત્યારે ગઈરાત્રીએ શહેરના ખ-રોડ ઉપર પ્રમુખનગર પાસે મોપેડ ઉપર ત્રણ યુવાનો પસાર થતાં હતા તે સમયે પોલીસ જવાને તેમને રોકતાં પીધેલા હોવાનું જણાયું હતું. જેથી આ અંગે પીસીઆર વાનને જાણ કરતાં આ ત્રણેય શખ્સોએ પોલીસ જવાન હુમલો કરીને માર મારીને મોબાઈલ તોડી નાંખ્યો હતો. જેથી પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી.
ગાંધીનગરમાં હાલ રાત્રી કરફ્યુ અમલમાં છે ત્યારે પોલીસ વિવિધ પોઈન્ટ ઉપર વાહનચેકીંગ પણ કરતી હોય છે ત્યારે ગઈકાલે રાત્રીના સમયે શહેરના ખ-માર્ગ ઉપર સે-૭ પોલીસના જવાન ઉપર દારૃ પીધેલા ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ઘટના બનવા પામી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં જવેરભાઈ મહાદેવભાઈ ગઈકાલે રાત્રે સરગાસણના પ્રમુખનગર કટ પાસે અન્ય પોલીસ જવાનો સાથે ફરજ ઉપર હતા તે દરમ્યાન મોપેડ ઉપર ત્રણ યુવાનો ત્યાંથી નીકળ્યા હતા. જેથી તેમને ઉભા રાખતાં દારૃ પીધેલા હોવાનું જણાયું હતું. આ શખ્સોએ પોલીસ જવાન જવેરભાઈ સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો. આ દરમ્યાન તેમણે પીસીઆર વાનને જાણ કરી દીધી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ વધુ માર મારીને તેમના હાથમાં રહેલો ફોન ઝુંટવી લઈ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ પીસીઆર વાન આવી જતાં આ ત્રણેય શખ્સોને વાનમાં બેસાડવા જતાં પણ ઝપાઝપી કરી હતી. જો કે ત્રણેયને પોલીસ સ્ટેશને લવાયા હતા. જયાં તેમના નામ અક્ષય ભરતભાઈ પટેલ રહે.રૃપાલ, મહાદેવવાળો વાસ, દિવ્યાંગસિંહ વિનોદસિંહ ચાવડા રહે.રૃપાલ અને કેતુલ દીલીપભાઈ પટેલ રહે.પ્રમુખનગર એ-૧૦૧ સરગાસણ હોવાનું બહાર આવ્યું હતું. જેમની સામે પ્રોહીબીશન અને સરકારી કામમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.