ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક: કોરોના, વરસાદ અને વંદે ગુજરાત અભિયાન અંગે ચર્ચા થવાની શક્યતા
ગાંધીનગર ખાતે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બે સપ્તાહ બાદ કેબિનેટ બેઠક યોજાશે
અમદાવાદ : હાલમાં ચોમાસાની સિઝનમાં વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોરોના પણ ગુજરાતમાં ધીમે ધીમે માથું ઊચકી રહ્યો છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળશે. જેમાં સરકારના કામો અને તેની વ્યૂહરચના પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.
મહત્વનું છે કે છેલ્લા 2 સપ્તાહની કેબિનેટ બેઠક કોઈ ના કોઈ કારણસર મળી શકી ન હતી. ગત બીજા સપ્તાહમાં પ્રવેશોત્સવ કાર્યક્રમને લીધે કેબિનેટ બેઠક રદ્દ કરવામાં આવી હતી તો ગત સપ્તાહમાં સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલને કોરોના થતાં કેબિનેટ બેઠક મોકૂફ રખાઇ હતી. ત્યારે આજે મળનારી આ બેઠકમાં વંદે ગુજરાત અભિયાન, વરસાદની સ્થિતિ અને કોરોના અંગે ચર્ચા થશે. તે ઉપરાંત કેબિનેટમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા થશે. યોજનાના પ્રચાર પ્રસાર બાબતે અને આગામી રાજ્ય સરકારના કાર્યક્રમોની રૂપરેખા પણ આ બેઠકથી ઘડવામાં આવશે.