હવે એસ.ટી. વિભાગમાં પણ ભગવાકરણ : તંત્ર દ્વારા 1 હજાર જેટલી નવી બસનો કલર ભગવો રાખવા નિર્ણય
300 બસ ટુ બાય ટુ સીટવાળી હશે. જે એસટી વિભાગમાં પ્રથમ વખત ઉમેરાશે
અમદાવાદ : રાજ્યની ભાજપ સરકાર દ્વારા હવે એસ.ટી. વિભાગમાં પણ ભગવાકરણ અપનાવવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તંત્ર દ્વારા 1 હજાર જેટલી નવ બસો બનાવવામાં આવી રહી છે. પરંતુ આ નવી બસનો કલર ભગવો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યની ભાજપ સરકાર દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે નવી બસો તો બનાવવામાં આવી રહી છે પરંતુ નવી બસોના નિર્માણમાં પણ ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. એસ.ટી. વિભાગ દ્વારા નવી 1 હજાર જેટલી બસો બનાવવામાં આવી રહી છે અને આ નવી બસનો કલર ભગવો એટલે કે કેસરી રહેશે. બસમાં સફેદ કલરના ગ્રાફિક્સ રાખવામાં આવશે.
જે નવી 1 હજાર બસ બની રહી છે, તેમાં 300 બસ ટુ બાય ટુ સીટવાળી હશે. જે એસટી વિભાગમાં પ્રથમ વખત ઉમેરવામાં આવી રહી છે. સ્પેસ વધારવા માટે અને બસમાં ભીડ ઓછી રહે તેના માટે એસટી વિભાગે આ નિર્ણય કર્યો છે. તો એ સિવાયની 200 સ્લીપર અને 500 સુપર એક્સપ્રેસ બસ બનાવવામાં આવશે. જે આગામી નવેમ્બર માસ સુધીમાં રોડ પર દોડતી થઇ જશે.