ગાંધીનગરના ડભોડા ગામે પરિવારને અંધશ્રદ્ધામાં ફસાવી 62 હજાર પડાવી લેનાર ભુવા વિરુદ્ધ ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગરના ડભોડા ગામમાં રહેતા એક પરિવારને અંધશ્રદ્ધામાં ફસાવી, માતા મૂક્યાની બીક બતાવીને રોકડ તેમજ સોનાના પગરખાં અને ધામક વિધિના નામે ૬૨ હજારથી વધુ રૃપિયાની રીતસરની લૂંટ ચલાવનાર ભુવા સામે ડભોડા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી છે. જેનાં આધારે પોલીસે તપાસ આદરી છે.ભૂવાની પૂછપરછમાં છેતરપિંડીની વધુ વિગત ખુલવાની શક્યતા પણ જોવાઈ રહી છે.
ડભોડા ગામમાં સંયુક્ત કુટુંબમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા પરિવારમાં થોડા સમય પહેલા એક ભાઈએ તેમની ભેંસ વલાદર ગામના ભુવાને રૃપિયા ૬૦,૦૦૦માં વેચી હતી. જોકે, ભેંસના પૈસા તે વ્યક્તિ આપતો ન હોવાથી, ભેંસ વેચનાર ભાઈએ પૈસાની માંગણી કરી હતી. જેથી ઉશ્કેરાયેલા ભુવાએ તમારે ત્યાંથી લઈ ગયેલી ભેંસ મરી ગઈ છે, હવે શાના પૈસા આપવાના હોય તેવો જવાબ આપ્યો હતો. બાદમાં આ ભુવો ડભોડા ગામમાં આવીને ખરીદેલી ભેંસ મરી ગઈ હોવાનું અને તેના પૈસા માટે પરિવાર ફોન ઉપર ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ કરી , પરિવાર પર માતા મૂકી હોવાની વાત ગામમાં કરી હતી.