રાજપીપળામાં મોહરમ,ગણેશ ચતુર્થી પર્વમાં શહેરના માર્ગ સરખા કરાવવા કોર્પોરેટરની મુખ્ય અધિકારીને રજૂઆત
મોહરમ પર્વ બાદ તુરંત ગણેશ ચતુર્થીનો તહેવાર આવતો હોય બંને રૂટ એકજ હોવાથી માર્ગો દુરસ્ત કરાવવા માંગ કરાઇ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં ભૂગર્ભ ગટરની કામગીરી માં ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા પડી ગયા હતા જેને પાલિકા દ્વારા મેટલ અને ગ્રેવેલ નાખી કેટલીક જગ્યા પર પૂરવામાં આવ્યા છે ત્યારે અગામી સમયમાં મોહરમ અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો આવતા હોય આ રૂટમાં આવતા રસ્તાઓને સરખા કરવા માટે વોર્ડ નંબર એક ના સભ્ય મંજૂરે ઈલાહી (લાલુ) દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે
કોર્પોરેટર કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે હાલમાં મોહર્રમનો તહેવાર ચાલી રહેલ છે. રાજપીળા નગરની મધ્યમા થઇને નવ(૯)માં ચાંદ રાત્રીનું જુલુસ કસ્બાવાડ થઇને દરબાર રોડ , લાલટાવર , સ્ટેશનરોડ થી પરત કરબાવાડ નો રૂટ છે. તેમજ ૧૦ માં ચાંદ જુમ્મા મસ્જીદ થી લાલટાવર, કોર્ટ, સ્ટેશન રોડ રાજરોક્ષી સિનેમાથી કાછીયાવાડ દરબાર રોડ થઈ સરકારી ઓવારા પર પુરૂ થાય છે,હાલમાં આ રૂટના રસ્તાઓ પર ગ્રેવલ નાખેલ છે, કોઇને વાગી જાય એવી સ્થિતિ જોવા મળે છે અને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે નાના બાળકો અને સિનિયર સિટીઝન ને ચાલવામાં પણ તકલીફ પડે છે જેથી મોહર્રમ ના જુલુસ પહેલા આ ગ્રેવલ પર સીમેન્ટનો માલ નંખાવી રસ્તો સરખો કરવા બાબતે રજૂઆત કરાઈ છે.