ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલ સાથે પૂર્વ સીએમ પુત્રી અનાર પટેલની મુલાકાત
ખોડલધામમાં અનાર પટેલની એકાએક બેઠકથી રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ
અમદાવાદ :દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખોડલધામના રાસોત્સવમાં હાજરી આપ્યા બાદ હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલએ નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે,
ખોડલધામમાં અનાર પટેલની એકાએક બેઠકથી રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ થઇ છે. અનાર પટેલ કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી છે.
કેજરીવાલની ખોડલધામ મુલાકાત બાદ બીજા દિવસે અનાર પટેલ અચાનક જ ખોડલધામ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ખોડલધામમાં દર્શન કરીને માથું ટેકવ્યું હતું. બાદમાં મંદિરમાં દર્શન કર્યા બાદ અનાર પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ વચ્ચે બેઠક યોજાઇ હતી.
આ અંગે ખોડલધામના સૂત્રોનું એમ કહેવું છે કે, નવરાત્રી ચાલી રહી હોવાથી અનાર પટેલ માતાજીના દર્શને આવ્યા હતા. તેમની મુલાકાતનો કોઇ રાજકીય અર્થ ન હોતો અને આવી કોઇ ચર્ચા પણ થઇ ન હોતી. ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને પણ શનિવારે રાજકોટમાં ખોડલધામના રાસોત્સવ અને કડવા પટેલ સમાજ આયોજિત યુવી ક્લબના રાસોત્સવમાં હાજરી આપી હતી.