રાજપીપળામાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહા પરીનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા મહારેલીનું આયોજન
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા રોહિતવાસ ખાતેથી સોમવારે ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરી નિર્વાણ દિવસ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા મહારેલી અને મહાસલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રોહિતવાસથી નિકળી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી હતી.
હજારો વર્ષોથી ગુલામ, શોષિત, પીડિત, વંચિતોના મસીહા, નારીના મુક્તિદાતા, સંવિધાન નિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકર કે જેમણે પોતાનું આખું જીવન ગરીબ, શોષિત, પીડિત લોકોના હક અધિકારો માટે કુરબાન કરી દીધું, પશુ કરતા પણ બદતર જીવન જીવતા લોકોને માનવતા પ્રદાન કરી, એવા મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવી, એમને સન્માન આપવું એ દરેક મૂળનિવાસી બહુજન સમાજના લોકોની નૈતિક જવાબદારી છે.સાથે સાથે ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસે બાબાસાહેબને મહાસલામી આપીને અભિવાદન સન્માન સાથે બાબાસાહેબના ઉપકારોને, સંઘર્ષોને યાદ કરી બાબાસાહેબના આંદોલનને આગળ વધારવાનો સંકલ્પ કરાયો હતો.