જંત્રી મુદ્દે હાલ કોઈ રાહત નહીં, 4 ફેબ્રુઆરી બાદના દસ્તાવેજ કે સ્ટેમ્પ પેપરની ખરીદી પર લાગશે નવા દર: ઋષિકેશ પટેલ
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે 4 ફેબ્રુઆરી બાદના દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો તેના પર નવી જંત્રીના દર જ લાગુ પડશે. તેમા કોઈ ફેરફાર થશે નહીં.
અમદાવાદ : જંત્રીના નવા દરની અમલી મુદ્દે રાજ્ય સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે, 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા હશે તો તેના પર નવી જંત્રીના દર જ લાગુ પડશે. જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં તે અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વિવિધ બિલ્ડર્સ એસોસિએશને સાથે ચર્ચા કરી છે, બેઠકમાં અધિકારીઓ પણ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે તેની જાણ પછીથી કરવામાં આવશે.
આ તરફ જંત્રીના નવા દર લાગુ પડતા બિલ્ડર એસોસિએશન અસંતુષ્ટ થયા હોવાનો ઘાટ ઘડાયો છે. જેને લઈ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને ખાસ કરીને બિલ્ડર લોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. આજે પણ અમદાવાદ બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી, જેમાં નવી જંત્રીને 3 મહિના બાદ લાગુ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
બિલ્ડર્સ એસોસિએશનની એવી પણ માગ છે કે જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ અલગ રખાય. જમીનની જંત્રીમાં 50 ટકાનો વધારો અને બાંધકામની જંત્રીમાં 20 ટકાનો જ વધારો કરાય. તો FSI માટે ભરવાની જંત્રી જે 40 ટકા છે તેને માત્ર 20 ટકા કરાય