ગુજરાત
News of Friday, 7th May 2021

ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે 'મારૃં ગામ કોરોના મુકત ગામ' મુહીમની ચાવીરૂપ ભૂમિકા : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 'મારૃં ગામ કોરોના મુકત ગામ અભિયાન'અન્વયે વિડીયો કોન્ફરન્સ યોજીને રાજયના તમામ જીલ્લા વિકાસ અધિકારીઓ-મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન આપ્યું : સામાન્ય તાવ-શરદી-ખાંસી જેવા લક્ષણો ધરાવતા કે નહિવત કોરોના પોઝિટીવ દર્દીઓ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં જ આઇસોલેશનમાં રહે તે માટે ગામના અગ્રણી વડીલો જાગૃતિ લાવવા પ્રયાસરત રહે

અમદાવાદ,તા.૭: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે 'મારૃં ગામ કોરોના મુકત ગામ' મુહીમ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. ૧૦ જેટલા ગામ આગેવાનોની એક સમિતિ બનાવીને ગામમાં કોઇ જગ્યાએ ભીડભાડ ના થાય, સોશીયલ ડીસ્ટન્સ જળવાય અને લોકો માસ્ક પહેરતાં થાય એ બાબત સુનિશ્ચિત કરવાથી ગામમાં કોરોનાના કેસો વધતાં અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનને વધુ વ્યાપક ફલક પર વિસ્તારવા તેમજ હેલ્થ સબ સેન્ટર્સ, પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આરોગ્ય સ્ટાફની સેવાઓ કોરોના સંક્રમણ નિયંત્રણ માટે દરેક ગામમાં અવિરત મળતી રહે તે હેતુસર ગાંધીનગરથી વીડીયો કોન્ફરન્સ મારફતે રાજયના તમામ જીલ્લા વિકાસ અધિકારીઓ અને સી.ડી.એચ.ઓ. સાથે સમીક્ષા બેઠક કરી હતી.

મુખ્યમંત્રીએ જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓને જીલ્લા / તાલુકા કક્ષાએ ટીમ બનાવી ગામડાઓમાં 'મારૂ ગામ કોરોના મુકત ગામ'અભિયાન હેઠળ ઉભા કરાયેલા CCCC (કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર)ની મુલાકાત લઇને ત્યાં રહેવા, જમવા, પૂરતાં પ્રમાણમાં દવાઓનો જથ્થો, પીવાના શુધ્ધ પાણી અને સ્વચ્છતા સહિતની તમામ સુવિધાઓની ચોકસાઇ કરવાનું સુચન કર્યું હતું.આવા કોમ્યુનીટ કોવિડ કેર સેન્ટર્સમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ વિના વિલંબે અને સમયસર મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓ જે-તે જિલ્લાના વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શનમાં વ્યવસ્થા ગોઠવે તેવી તાકીદ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દવાઓ અને તબીબી સેવાઓ પહોચાડી કોરોના મુકત ગામનો સંકલ્પ આપણે પાર પાડવો છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, અત્યારે દરેક ગામમાં મર્યાદિત સંખ્યામાં અથવા તો નહીવત કોરોના પોઝીટીવ દર્દીઓ છે. આવી વ્યકિતઓ જો પોતાના દ્યરમાં લોકોની સાથે જ રહેશે તો સંક્રમણ ફેલાવાની ભીતી રહેશે. આથી આવી કોરોના સંક્રમિત તમામ વ્યકિતઓને CCCC ખાતે આઇસોલેટ કરવામાં આવે તો સંક્રમણ વધતું અટકાવી શકાશે. દર્દીના પરિવારજનોની સુરક્ષા અને ગામના લાભ માટે પોઝીટીવ દર્દીઓ CCCC ખાતે શીફટ થાય તે પ્રકારની જગૃતિ લાવવા માટે ગામના આગેવાન વડીલોની દરમિયાનગીરીથી પ્રયાસ કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં રહેલા ગ્રામજનો સાથે તેમના પરીવારજનોની પણ આરોગ્ય તપાસ થાય અને અન્ય કોઇ પરિવારજનમાં સામાન્ય તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તેને પણ તકેદારી રૂપે આઇસોલેટ કરવામાં આવે તેવું સૂચન કર્યુ હતું.આવા જરૂરતમંદ વ્યકિતઓને સ્ટાન્ડર્ડ દવાઓની કિટ મળી રહે તથા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં તેમના બી.પી. ઓકસીજન લેવલ વગેરેની તપાસ થાય અને જરૂર જણાયે સારવાર માટે આરોગ્ય કેન્દ્રોમાં વેળાસર રિફર કરવામાં આવે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચન કર્યુ હતું.ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી શરૂ થયેલા 'મારૃં ગામ – કોરોના મુકત ગામ'અભિયાન અન્વયે અત્યાર સુધીમાં રાજયના ૩૩ જિલ્લાના ગામોમાં ૧૩૦૬૧ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧ લાખ ર૦ હજાર બેડની ક્ષમતા સાથે ઊભા કરી દેવાયા છે.

મારૃં ગામ કોરોના મુકત ગામના આ ૧પ દિવસના અભિયાનમાં ગ્રામીણ જનશકિતને જોડીને ગામડાંઓમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ જનભાગીદારીથી શરૂ કરીને ત્યાં સામાન્ય લક્ષણો વાળા ગ્રામજનોને આઇસોલેટ કરવા, સ્ટાન્ડર્ડ દવાઓનું વિતરણ વગેરે વ્યવસ્થાઓ પંચાયત-આરોગ્ય વિભાગના સહયોગથી ઊભી કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને CDHO સાથે યોજેલી આ વિડીયો કોન્ફરન્સમાં પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર, મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, ગ્રામ વિકાસ સચિવ વિજય નહેરા, આરોગ્ય કમિશનર શિવહરે વગેરે પણ જોડાયા હતા.

(11:47 am IST)