ગુજરાત
News of Friday, 7th May 2021

પાંચ લાખથી વધુ ગુજરાતીઓએ કોરોનાને પછાડ્યો: આજે દાખલ થયા તેના કરતાં ૧,૦૨૧ વધારે ડિસ્ચાર્જ થયા

અમદાવાદ, સુરત અને રાજકોટમાં નવા દર્દીઓ સામે સાજા થયેલા લોકોની સંખ્યા ઘણી વધારે

અમદાવાદ : ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે બીજા સારા સમાચાર એ પણ છે કે આજે  દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈને  ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા વધી છે.  સમગ્ર રાજ્યમાં આજે ૧૨,૦૬૪ દર્દીઓ નોંધાયા છે તેની સામે આજના દિવસે ૧૩,૦૮૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.
અમદાવાદ શહેરમાં પણ આજે ૩,૭૪૪ નવા દર્દીઓની સામે સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે  ૫,૨૨૦ છે. સુરતમાં પણ આજે ૯૦૩ નવા દર્દીઓ નોંધાયા તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૧.૬૭૦  છે. રાજકોટ શહેરમાં પણ દાખલ થયેલા દર્દીઓ કરતા સાજા થઇને ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. રાજકોટમાં આજે ૩૮૬ નવા દર્દીઓ દાખલ થયા છે જ્યારે ૪૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.
સુરત જિલ્લામાં નવા ૩૦૬ દર્દીઓ ઉમેરાયા છે, તેની સામે ૪૯૯ દર્દીઓ સાજા થઈને ગયા છે. આણંદમાં ૧૯૫ નવા દર્દીઓ સામે સાજા થઈને ગયેલા દર્દીઓ ૨૨૯ છે. પાટણમાં ૧૩૯ નવા દર્દીઓ દાખલ થયા છે, તેની સામે ૨૧૦ દર્દીઓ સાજા થઈને ગયા છે. ગાંધીનગર શહેરમાં ૧૩૧ નવા દર્દીઓ નોંધાયા છે, તેની સામે ૧૬૧ દર્દીઓ સાજા થઈને ગયા છે. ભરૂચમાં નવા ૧૧૪ દર્દીઓ છે, જ્યારે ૧૬૯ દર્દીઓ સાજા થઈને ગયા છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૨ નવા દર્દીઓ ની સામે ૨૦૨ દર્દીઓ સાજા થઈને ગયા છે.
રાજ્ય સરકારના સઘન પ્રયાસો, તબીબો અને સમગ્ર આરોગ્ય તંત્રની મહેનત અને સમગ્ર વહીવટીતંત્રના પરિશ્રમના સારા પરિણામો  મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના  સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ પણ ૭૬.૫૨  ટકા જેટલો  થયો છે.

(8:37 pm IST)