અમદાવાદના નારોલ વિસ્તારમાં સાસરિયાની દહેજની માંગણીથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ: નારોલના વિજયનગરમાં સાસરિયાની દહેજની માંગણીથી ત્રસ્ત મહિલાએ ગળેફાંસો ખાઈ ત્રણ દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી. નારોલ પોલીસે મૃતકની માતાની ફરિયાદ આધારે પતિ સહિતના સાસરિયાં વિરુધ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણ અંગેનો ગુનો શુકવારે નોંધ્યો હતો. સાસરિયાં મહિલાને કહેતા કે, તારી બહેનને તારા પિતાએ જમીન આપી, તને કાઈ નથી આપ્યું. પતિ પણ મહિલાને સાથ આપવાની જગ્યાએ મારઝૂડ કરતો હતો. નારોલના ક્રિષ્નાનગરમાં રહેતાં માયાબહેન પાલએ નારોલ પોલીસ સ્ટેશનમાં જમાઈ ગજેન્દ્ર ઉર્ફે અનિલ રઘુનાથ પાલ, તેનો ભાઈ મનોજ ઉર્ફ સચિન અને વેવાણ રાજવતી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ગજેન્દ્ર સાથે ત્રણ વર્ષ અગાઉ ફરિયાદીની પુત્રી ઈન્દુના લગ્ન થયા હતા. લગ્નજીવનમાં દોઢ વર્ષની પુત્રી પણ હતી. સાસુ સતત ઈન્દુને દહેજ બાબતે મહેણાં મારી તકરાર કરતા તેમજ પતિને ચઢામણી કરતા હતા. પતિ પણ પત્ની સાથે મારઝૂડ કરતો હતો. ઈન્દુ પિયરમાં જતી રહેતી અને માતાને સાસરિયાંના ત્રાસની ફરિયાદ કરતી હતી. ઇન્દુને તેનો દિયર અને સાસુ કહેતા કે, તારી મોટી બહેનને તારા પિતાએ જમીન આપી, તને કઈ આપ્યું નથી. તેમ કહી દહેજની માગણી કરતા હતા. આખરે ત્રસ્ત થઈ ગયેલી ઇન્દુએ ગત તા 4-5-2022ના રોજ પોતાની સાસરીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.