મહીસાગર :રામમંદિરમાં દાન આપવાના નામે ફેક વેબસાઇટ બનાવનાર ટોળકી સંક્રિય :વધુ એક આરોપીને ઝડપી લેવાયો
ફરિયાદ નોંધાયા બાદ અગાઉ બિહાર પટનાથી મહીસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી ઓનલાઇન છેતરપિંડી કરનાર ત્રિપુટીને ઝડપી પાડી હતી
મહીસાગર :રામ મંદિર નિર્માણમાં દાન લેવાના નામે ઓનલાઇન વેબસાઈટ બનાવી છેતરપિંડી કરવાનો કિસ્સો મહીસાગર જિલ્લામાં સામે આવ્યો છે.જેમાં રામમંદિર નિર્માણ કાર્યમાં દાન સ્વીકારવાના નામે ખોટી વેબસાઈટ બનાવી લોકો પાસેથી રામના નામે પૈસા પડાવતી ટોળકી અને વેબસાઈટ બનાવનાર વધુ એક આરોપીને મહીસાગર પોલીસે ઝડપી પાડયો છે.
ઘટનાની વિગત મુજબ વર્ષ 2021માં મહીસાગર જિલ્લામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાના નામે ઓનલાઇન વેબસાઈટ બનાવી છેતરપિંડી થયા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સમગ્ર મામલે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને જેમાં પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી હતી જેમાં તારીખ 2/8/2021નાં રોજ બિહાર પટનાથી મહીસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી ઓનલાઇન છેતરપિંડી કરનાર ત્રિપુટીને ઝડપી પાડી હતી.
જેમાં ત્રણ આરોપી 1) જ્યોતિશકુમાર જગેવ પ્રસાદ કુશવાહા 2) રોહિત કુમાર બિપિનસિંહ 3) વિકાસકુમાર રાજકુમાર પ્રસાદને બિહાર પટનાના જુદા જુદા સ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આજ ગુનામાં નાસ્તા ફરતા આરોપી 1) રાજીવકુમાર રમેશ ઠાકુરને હરિયાણા ખાતેથી ઝડપી પાડવામાં મહીસાગર પોલીસને સફળતા મળી છે . આ તમામ આરોપીઓ ફેક વેબસાઈટ બનાવી રામના નામે લોકોને છેતરી પૈસા પડાવતા હતા .મહીસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી આ તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.