અમદાવાદની અનેક કોમર્શિયલ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવઃ અપડેટ કરવાનું બિલ્ડરો અને માલિકો ભુલી જતા ભય
અમદાવાદ: ગુજરાત લગભગ દર વર્ષે આગની કરુણાંતિકાનું સાક્ષી બનતુ હોય છે. ગત વર્ષે તક્ષશિલા ઘટના તો આ વર્ષે શ્રેય હોસ્પિટલ. ગઈકાલે અમદાવાદમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લગતા 8 કોરોના દર્દીઓના મોત નિપજ્યા હતા.
ચેનપુરમાં આવેલા સાવન સ્કવેરમાં ફાયરના સાધનો મળ્યા હતા, પરંતુ રિફીલિંગ કરવાનો સમય વીતી ગયો હતો. ફાયરના સાધનો સમયસર અપડેટ થવા જોઈએ તે અપડેટ કરાવવાનું બિલ્ડર તેમજ બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતા માલિકો ભૂલ્યા હોવાનું સામે આવ્યું હતું.
જુલાઈ મહિનામાં રીફીલિંગ કરાવવાનું હતું
જુલાઈ મહિનામાં ફાયરના સાધનો રિફીલિંગ કરાવવાના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. બેઝમેન્ટ ધરાવતા 6 માળના બિલ્ડીંગમાં ફાયરના સાધનો સમયસર રીફીલિંગ કરવામાં આવ્યા નથી. જુલાઈ મહિનો વીતી ગયા છતાંય ફાયરના સાધનો અપડેટ કરાવવાની ગંભીરતા સાવન સ્કેવરમાં લેવામાં આવી ન હતી. ચેનપુરમાં આવેલા સાવન સ્કવેર બિલ્ડીંગમાં સર્વિસ સેન્ટર, જિમ, રેસ્ટોરન્ટ અને બેંકવેટ આવેલું છે. જો કોઈ અણધારી ઘટના બને તો સાવન સ્કવેરના ફાયર સેફ્ટીના સાધનો પર સવાલ ઉઠશે. લોકોના જીવને જોખમમાં મુકતા બિલ્ડરો અને ઓફિસ ધરાવતા વ્યક્તિઓ સામે મોટો સવાલ ઉભો કરો છે.
ચાંદલોડિયાની ઈમારતમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ
ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટારમાં જરૂરી ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. સિલ્વર સ્ટાર કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર એસ્ટિંગ યુસરની બોટલ જોવા તો મળી, પરંતુ 5 માળની આ બિલ્ડીંગમાં જરૂરી પાઇપ લાઈનનો અભાવ જોવા મળ્યો હતો. આગ લાગવાની ઘટનામાં ફાયર ટીમને બિલ્ડીંગમાં લાગેલી પાઇપ મદદરૂપ થતી હોય છે, પરંતુ પાઇપ જોવા ના મળી. ચાંદલોડિયાના આ સિલ્વર સ્ટાર બિલ્ડીંગમાં SBI, BOI, ICICI જેવી બેન્ક તેમજ ICU બેડ ધરાવતી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ સહિત અનેક દુકાનો અને ઓફીસ આવેલી છે.
અમદાવાદની કોમર્શિયલ બિલ્ડીંગમાં આવી અનેક લાપરવાહી જોવા મળી હતી. જો આગ જેવી ઘટના બને તો જીવલેણ સાબિત થઈ શકે છે. બિલ્ડીંગમાં ઓફીસ, હોસ્પિટલ, રેસ્ટોરેન્ટ અથવા દુકાન ધરાવતા લોકોમાં ફાયર સેફટીના સાધનોને લઈને જાગૃતતા પણ નથી જોવા મળતી. જેના કારણે આગ જેવી ઘટના બાદ લોકોના જીવ ગુમાવવાની કિંમત ચૂકવવાનો વારો આવે છે. 3 માળથી ઊંચી બિલ્ડીંગમાં પાઇપ અને ફાયરના અન્ય સાધનો શરતો મુજબ હોવા જરૂરી છે. બિલ્ડીંગના મેનેજરે ફાયરના સાધનો થોડા દિવસ પહેલા જ લગાડ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. પાઇપ લાઈન બાબતે સવાલ પૂછતાં જણાવ્યું કે હાલ એ કામ બાકી છે, તાત્કાલિક એ કરાવી દઈશું.
ઉલ્લેખનીય છે કે, આવી તો અસંખ્ય ઈમારતો ગુજરાભરમાં ધમધમતી હશે. તેમ છતાં તેના પર સરકારી તંત્રની નજર જતી નથી. કોઈ ઘટના બને તેની રાહ જોઈને બેસાય છે, જેથી તપાસ કરવી શકાય. શ્રેય હોસ્પિટલ જેવી ઘટનાઓ માટે જવાબદાર હકીકતમાં સરકારી તંત્ર છે, જેઓ પોતાની ફરજ બજાવવાથી ચૂકી જાય છે. જો તેઓએ યોગ્ય સમયે સેફ્ટી સાધનો અંગે ચેકીંગ હાથ ધર્યું હોત તો આ કરુણાંતિકા બની જ ન હોત.