દુષ્કર્મ આચરનાર આરોપી જગદીશને સાત વર્ષની કેદ
ગુનાને હળવાશથી લઈ શકાય નહીં:કોર્ટ
અમદાવાદ,તા.૬ : વસ્ત્રાલમાંથી કિશોરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપી જગદીશ ઉર્ફે જગો શાન્તિલાલ ઠાકોરને એડીશનલ સેશન્સ પી.સી.ચૌહાણે ગુનેગાર ઠરાવીને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપી સામે ગુનો પુરવાર થયો છે ત્યારે આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં.સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને સજા કરવી ન્યાયહિતમાં જરુરી છે. ભોગ બનેલી કિશોરીને આ કેસની વિગત એવી છે કે રામોલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ મહાદેવનગરના ટેકરા પાસેથી ૧૬ વર્ષની કિશોરીને લલચાવી ફોસવાવીને ગતતા.૨૨-૮-૨૦૧૪ના રોજ જગદીશ ઉર્ફે જગો અપહરણ કરીને મોરબી લઈ ગયો હતો ત્યાં આરોપીએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
ભોગ બનેલી કિશોરીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતા આરોપી જગદીશ ઉર્ફે જગાની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકવામાં આવ્યુ હતુ.જે કેસ ચાલતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ સાબિત કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, સમાજમા દિન પ્રતિદિન કિશોરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ફટકારવી ન્યાયહિતમાં જરુરી છે. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને ૭ વર્ષની કેદ તથા દંડ ફટકાર્યો છે.