ગુજરાત
News of Monday, 7th September 2020

સંજય રાઉતના ગુજરાત અંગે નિવેદનથી ભાજપ અને કોંગ્રેસ બંને ખફા : શિવસેનાના નેતાને ઝાટકી નાંખ્યા

કંગનાના પડકારથી વિફરેલા શિવસેના નેતાએ બફાટ કરતા રાજકારણ ગરમાયુ

અમદાવાદઃ ફિલ્મી અભિનેત્રી કંગના રાણાવતે આપેલા પડકારથી અકળાઇ ઉઠેલા શિવસેનાના નેતા સંજય રાઉતે કરેલા બફાટથી રાજકારણ ગરમાયું છે. તેમના નિવેદનને ભાજપ-કોંગ્રેસ  બંનેએ વખોડી કાઢયું છે. ભાજપે તો રાઉતને ગુજરાત ,અમદાવાદ અને અમદાવાદીઓની માફી માંગે તેવી માંગણી કરી છે.

સંજય રાઉતનાં નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે કંગના રાણાવત સાથેનાં ઝગડામાં ગુજરાતને , અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાનાં ઈરાદાથી સંજય રાઉતે ગુજરાતમાં અમદાવાદને મીની પાકિસ્તાન કહી ગુજરાતનું હળાહળ અપમાન કર્યું છે. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે     

 સરદાર પટેલે 562 રજવાડાં એક કરીને ભારતને એકતા -અખંડિતતાને મજબૂત કરી છે. જૂનાગઢ અને હૈદરાબાદને પાકિસ્તાનમાં જતું અટકાવ્યું અને કુનેહ અને શક્તિથી ભારતમાં જ રાખવામાં સફળ થયાં. તેમનું સ્વપ્ન કાશ્મીરમાં 370 હટાવીને ખરાં અર્થમાં ભારતનું અવિભાજય અંગ બને , તે સ્વપ્નને ગુજરાતનાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે પૂર્ણ કર્યું છે. એટલે ભારતની એકતા-અખંડિતતાનાં ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતનાં યોગદાનને યાદ રાખવું જોઈએ. શિવસેના કોઈપણ ઘટનાક્રમમાં ઈર્ષા,દ્વેષ,અને બદ્ઈરાદાથી ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનાં નેતાઓને ટાર્ગેટ કરીને બદનામ કરવાનું બંધ કરે તેવી અપીલ ભરત પંડયાએ કરી હતી.

જયારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિવસેના તથા તેના પદાધિકારી સંજય રાઉતનું વ્યક્તિગત મંતવ્ય હશે. હું બહુ સ્પષ્ટપણે માનું છુ કે પૂ. ગાંધીજી અને સરદારનું ગુજરાત છે. આઝાદીનું આંદોલન જેમના નેતુત્વમાં લડાયું હતું તેવા ગાંધીજીના ગુજરાતની કર્મભૂમિ અને જન્મભૂમિ અંગે કોઇ વાત કરે તે ચલાવી લેવાય નહીં.

(9:54 pm IST)