ગુજરાત બાર.કાઉન્સીલના નવા સુકાનીઓની વરણી ચેરમેનપદે કિરીટભાઇ બારોટઃ વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ
વિવિધ કમિટીમાં ભરત ભગત, હિરાભાઇ પટેલ, કિશોરભાઇ ત્રિવેદી વિગેરેની નિમણુંક
અમદાવાદ, તા.૭: વકીલોની માતૃસંસ્થા ગણાતી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં આ વર્ષે પણ ભાજપ પ્રેરિત સમરસ પેનલનો ભવ્ય વિજય થયો છે. કાઉન્સિલના ચેરમેનપદે આ વખતે એડવોકેટ કિરીટ એ.બારોટ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. જયારે શંકરસિંહ એસ.ગોહિલ વાઇસ ચેરમેનપદે અને એકિઝકયુટિવ કમિટીના ચેરમેન તરીકે ભરત ભગત બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. આ સાથે જ ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમ જ બાર કાઉન્સિલની મહત્વની કમિટીઓમાં ભાજપે સત્તાનું સુકાન જાળવી રાખ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા ૨૫ સભ્ય પૈકી ભાજપ પાસે ૨૦ હતા. જયારે પ સભ્ય કોંગ્રેસના હતા. આજે સવારે ચૂંટણીમાં તમામ ઉમેદવારો વોટિંગ કરવા પહોંચી ગયા હતા. જેમાં ૨૦૨૦-૨૧ માટે એનરોલમેન્ટ કમિટીના ચેરમેનપદે હીરાભાઇ પટેલ, ફાઇનાન્સ કમિટીના ચેરમને તીરકે કિશોરકુમાર ત્રિવેદી, રૂલ્સ કમિટીના ચેરમેન પદે અનિરૂદ્વસિંહ ઝાલા, જીએલએચ કમિટીના ચેરમેન તરીકે પ્રવીણ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત બાર કાઉન્સિલમાં જુદી જુદી ૧૬ શિસ્ત કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં એડવોકેટ અનિલ કેલ્લાની ચેરમને તરીકે વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, દર વર્ષે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ થાય તેવી શકયતા હોવાથી ભાજપ લિગલ સેલ પોતાના સભ્યોને લઇ બે દિવસ અજ્ઞાત સ્થળે જતા રહે છે અને તેઓ આજે (ચૂંટણીના દિવસે) જ પરત આવે છે. જો કે, આ વર્ષે કોરોનાના કહેરના કારણે એક પણ સભ્ય બહાર ગયા ન હતા.