કાપડ ઉદ્યોગને ફરી ગતિ આપવા ઓરીસ્સાથી કારીગરોને લાવવા ૨૫૦ ટ્રેન દોડાવવા રજૂઆત
રાજકોટ, તા. ૭ : દોઢ થી બે માસના કોરોનાના કાળના લોકડાઉનમાં સુરતથી વતન ગયેલા પરપ્રાંતીય કારીગરોને ફરી બોલાવવા ખાસ ટ્રેન દોડાવવા માંગ ઉભી થઈ છે. ઓરીસ્સાથી કારીગરોને સુરત લાવવા માટે ઓરીસ્સા અને સુરત વચ્ચે ૨૫૦થી વધુ ટ્રેન દોડાવવા કાપડ ઉદ્યોગકારો દ્વારા ઓરીસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકને રજૂઆત કરી છે. શ્રી પટનાયકે પણ સાનુ કૂળ પ્રતિસાદ સાથે આશ્વાસન આપ્યુ છે.
સરકાર દ્વારા લોકડાઉનના નિયંત્રણો આંશિક હટાવ્યા બાદ તા.૧ જૂનથી કાપડના કારખાનાઓ શરૂ થયા છે. છેલ્લા ત્રણ માસનો સમય પસાર થઈ ગયા બાદ પણ કારીગરોની અછતને પગલે કાપડ ઉદ્યોગ ગતિમાં નથી આવતો. દિવાળી સહિતના તહેવારોની ઘરાકીને નજરમાં રાખીને બજારમાંથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે ત્યારે કાપડ ઉદ્યોગ ઝડપથી ગતિ કરે તે માટે કારીગરોને તેમના વતનથી પરત લાવવા અનેક પ્રલોભનો આપી રહ્યા છે. પબ્લીક ટ્રાન્સપોર્ટેશનની યોગ્ય વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે.લોકડાઉન દરમિયાન ૧૦ લાખથી વધુ કારીગરો જતન જતા રહ્યા છે. તે પૈકી કેટલાક સુરત આવી ગયા છે. હજુ પણ વણાટ ક્ષેત્રે ૪.૫૦ લાખથી વધુ કારીગરોની અછત હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.