ગાંધીનગરથી કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વડોદરા મનપાના રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાશે
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આવતીકાલે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાના રૂ. ૩૨૨ કરોડથી વધુના ખર્ચે પ્રજાલક્ષી વિવિધ વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત, ઇ-લોકાર્પણ અને ઇ-શુભારંભ કરાશે. આ પ્રસંગે ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.
કાલ તા. ૮ સપ્ટેમ્બરે સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદસભ્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ, અતિથિ વિશેષ તરીકે વડોદરાના ધારાસભ્ય જિતેન્દ્રભાઇ સુખડીયા,સીમાબેન મોહિલે, મનીષાબેન વકિલ, શૈલેષભાઇ મહેતા, વડોદરાના મેયર ડૉ. જિગીશાબેન શેઠ, માટીકામ કલાકારી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે તેમ વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપની યાદીમાં જણાવ્યું હતું.