અમદાવાદમાં ૪ મહિનામાં બીજીવાર પાંચ લોકોનો ટેસ્ટ ફરી પોઝીટીવઃ ગુજરાતમાં પ્રથમ કેસો
૪ રેસીડેન્ટ ડોકટરો અને ૬૦ વર્ષીય મહિલા ફરી સંક્રમિતઃ અમદાવાદ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા ૧૦ હજાર લોકો ઉપર કરાયેલ સર્વેમાં ૪૦ ટકા લોકોમાં એન્ટી બોડી જોવા ન મળેલઃ હાલ પોઝીટીવ દર ર૩.ર૪ ટકા
અમદાવાદ તા. ૮ :.. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે કોરોના થઇ ગયેલ લોકોમાં એન્ટી બોડી સારી થઇ જાય છે. જેથી ફરીથી કોરોના થવાની શકયતા ઓછી થઇ જાય છે. જો કે વિશ્વમાં ફેલાયેલ આ મહામારીને લઇને સતત નવી-નવી મુશ્કેલીઓ - પડકારો સામે આવી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાને હરાવી ચૂકેલ કેટલાક લોકો ફરીથી પોઝીટીવ આવ્યા છે. જેમાં ૪ ડોકટર અને એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતમાં આવો કિસ્સો પહેલીવાર બન્યો છે. આ પાંચેય દર્દીઓ ૪ માસમાં બીજીવાર સંક્રમીત થયા છે.
ફરીથી સંક્રમિત થનારમાં ૬૦ વર્ષીય મહિલા, કોર્પોરેશન સંચાલીત એલ. જી. હોસ્પીટલમાં સેવા આપતા ર૬ અને ૩૩ વર્ષીય રેસીડેન્ટ ડોકટર તથા સીવીલ હોસ્પીટલના કેન્સર ઇન્સ્ટીટયુટમાં સેવા દેતા ૩૩ અને ર૮ વર્ષીય રેસીડેન્ટ ડોકટરોનો સમાવેશ થાય છે.
પાંચેય દર્દીઓના બ્લડ અને વાયરસ જિનેટીકસ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે વિશ્લેષણ માટે મોકલી અપાયા છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરાયેલ વિશેષ સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવેલ કે જે લોકો કોરોનાને હરાવી ચૂકયા છે તેમાંથી ૪૦ ટકા લોકોના શરીરમાંથી એન્ટીબોડી લુપ્ત મળેલ. જેથી આવા લોકોને ફરીથી બોડીની પ્રક્રિયા થોભી ન હતી. ૧૦ હજાર લોકો ઉપર કરાયેલ સર્વેક્ષણમાં એ પણ સામે આવેલ કે હાલ અમદાવાદમાં કોરોના પોઝીટીવનો દર ર૩.ર૪ ટકા છે.
સર્વે મુજબ કોરોનાં સંક્રમણનો દર પુરી રીતે નિયંત્રણમાં હોવાનું જણાવાયેલ. હાલ અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટીનો ખતરો નથી કેમ કે તે માટે ૭૦ થી ૮૦ ટક દર હોય તો ચિંતાનો વિષય કહેવાય છે.
અમદાવાદની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટયુટ (જીસીઆરઆઇ) ના ડાયરેકટર ડો. શશાંક પંડયાએ જણાવેલ કે અહીં સેવા આપતા બે ડોકટરોને ૪ મહિના બાદ ફરીથી કોરોના સંક્રમણ થયેલ. બન્નેની જીસીઆરઆઇના પરિસરમાં જ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેમની સ્થિતી સારી છે. ૪ મહિના અગાઉ કોરોના થયેલ બન્ને ડોકટરોમાં કોરોના જેવા લક્ષણો ગયા અઠવાડીયે જોવા મળતા તેમનો ટેસ્ટ કરાયેલ. ફરીથી બન્નેના રિપોર્ટ પોઝીટીવ આવેલ. તેમની તબીયતમાં સુધાર છે. પહેલી વખત કરતા આ વખતે કોરોનાનું જોર ઓછું છે.
૧૮ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર દરમિયાન બીજીવાર સંક્રમિત
અમદાવાદમાં ગંભીરતા દર્શાવતા પાંચ મામલાઓ સામે આવ્યા છે. જેમાં પહેલીવાર સંક્રમણ ૧૩ થી રપ એપ્રિલ વચ્ચે થયેલ. જયારે તમામનો બીજીવાર ૧૮ ઓગષ્ટથી ૬ સપ્ટેમ્બર વચ્ચે રિપોર્ટ પોઝીટીવ આવેલ. જેમાં મહિલાએ પહેલીવાર સાજા થયા બાદ કેરળનો પ્રવાસ કરેલ.
જયારે અન્ય ૪ તબીબો અમદાવાદ જ હતાં. કોર્પોરેશન તંત્ર મુજબ પહેલાની તુલનાએ આ કેસોમાં સંક્રમણનું જોર ઓછુ છે અને કોરોનાના પુરા લક્ષણો પણ નથી જોવા મળ્યા. ચારમાંથી એકને ગઇકાલે રજા અપાય છે. જયારે એક દર્દી જીસીઆરઆઇમાં દાખલ છે અને અન્ય બે હોમ આઇસોલેશનમાં ઉપચાર કરાવી રહ્યા છે. બીજીવાર આવેલ કેસ ઉપર અમદાવાદ કોર્પોરેશન નજર રાખી રહ્યું છે.